ગોઝારો બન્યો શુક્રવાર: ટ્રક અને ટ્રેકટર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 10 લોકોને ભરખી ગયો કાળ, 3 ઘાયલ

UP Road Accident: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે મજૂરોથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને વારાણસીના (UP Road Accident) ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ભદોહીના મહારાજગંજ અને મિર્ઝાપુરની કટકા બોર્ડર પર થયો હતો.

10 મજૂરોના ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં કુલ 13 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાંથી કાસ્ટિંગનું કામ કરીને વારાણસીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ 10 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ગ્રામજનોએ હાઈવે બ્લોક કરી દીધો હતો. આ પછી વહીવટીતંત્ર દ્વારા રોષે ભરાયેલા લોકોને શાંત પાડવામાં આવ્યા હતા અને મોડી રાત્રે હાઈવે પરનો વાહનવ્યવહાર સુચારૂ થઈ શક્યો હતો.

લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી…
પોલીસે જણાવ્યું કે ભદોહીથી બનારસ જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અગાઉ ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલ અને મૃતકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા
અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલ્યા હતા. તમામ મજૂરો ભદોહી જિલ્લામાંથી છત નાંખીને ટ્રેક્ટર ટ્રોલીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.