બનાસકાંઠામાં બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા આખો પરિવાર મોતને ભેટ્યો: લાશો કાઢવા JCBની મદદ લેવાઈ

Banaskantha Accident: ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરે આવેલા અમીરગઢ તાલુકા ખુણીયા ગામ નજીક એસ.ટી બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Banaskantha Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 9 લોકો ઇજા પામ્યાં છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પતરા ચીરીને લાશો બહાર કાઢી હતી. આ અકસ્માતમાં હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કાર્યવાહી શરૂ કરી છે.

પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી અનુસાર અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલા ખુણીયા ગામ નજીક ગુરૂવારે રાજસ્થાન પરિવહનની બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરોને ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લાશોને બહાર કાઢવા માટે પતરાં ચીરવા પડ્યા
બસ અને બોલેરો કાર વચ્ચે એટલી ભયાનક ટક્કર સર્જાઇ હતી કે લાશોને બહાર કાઢવા માટે પતરાં ચીરવા પડ્યા હતા અને જે.સી.બી.ની મદદ પણ લેવી પડી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

મૃતકોના નામ:

  • દિલીપ મુંગળા ખોખરીયા (ઉં.વ. 32)
  • મેવલીબેન દિલીપભાઈ ખોખરીયા (ઉં.વ. 28)
  • રોહિત દિલીપભાઈ ખોખરીયા (ઉં.વ. 6)
  • ઋત્વિક દિલીપભાઈ ખોખરીયા (ઉં.વ. 3)
  • સુંદરીબેન ભગાભાઈ સોલંકી(ઉં.વ. 60)

શોક અને ગમગીનીનો માહોલ
આ ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. અમીરગઢ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ અને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છીએ.”