ધરતીપુત્રોની વ્હારે ગુજરાત સરકાર: સરકારે કૃષિ વિભાગને આપ્યો મોટો આદેશ, જાણો તમામ માહિતી વિગતે

Gujarat Unseasonal Rains: ગુજરાતના અનેક વિસ્તારમાં હાલમાં જ ઉનાળાના મોસમમાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આઘાત (Gujarat Unseasonal Rains) પહોંચાડ્યો છે. ખાસ કરીને બાગાયતી અને રવી પાકોને જે રીતે નુકસાન થયું છે, તે ગુજરાતના કૃષિ જગત માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી નુકસાનના પ્રથમ હિસાબ માટે કૃષિ વિભાગને વિસ્તૃત સર્વે કરવા આદેશ આપ્યો છે.

રાજ્ય સરકાર તરફથી મળેલી જાણકારી મુજબ, આગામી બે દિવસમાં પ્રાથમિક સર્વે પૂર્ણ કરીને સંપૂર્ણ અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ અહેવાલના આધારે સપ્તાહના અંત સુધીમાં સહાયની જાહેરાત શક્ય હોવાનું સંકેત મળ્યો છે.

બાગાયતી પાકોને ભારે નુકસાન, ખેડૂતોમાં અસંતોષ
આ અચાનક વરસાદ અને વાવાઝોડાંના કારણે કેરી, દાડમ, ચીકુ અને કેળા જેવા નાજુક બાગાયતી પાકોને સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાતા મગ, તલ, શાકભાજી સહિતના પાક પણ નિષ્ફળ થવાની આશંકા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, છ મહિનાની મહેનત દ્વારા ઊપજાવેલા પાકોને તેઓ જમીનમાંથી કાઢીને તાપમાં સુકવવા માટે પાથરી રહ્યા હતા, ત્યારે વરસાદે બધું બગાડી નાખ્યું. હવે પાક ખરીદનાર વેપારીઓ પણ હચકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

ખેડૂત સમુદાયની સરકારને અપીલ: સહાય વહેલી તકે જાહેર કરો
ખેડૂતોએ સરકારને વહેલી તકે કોઈપણ રાહત આપવા માટે અપીલ કરી છે. કારણકે આ વરસાદ અને માવઠામાં મોટાભાગના ખેડૂતો બરબાદ થઇ ગયા હોવાનું કહી રહ્યા છે. આથી બાગાયતી પાક માટે સરકાર વહેલી તકે સહાય કરે તેવી માંગ ઉઠી છે.

ખેડૂતો સરકાર સમક્ષ સહાયની તાત્કાલિક માગણી કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે સરકાર વાસ્તવિક સ્થિતિના આધારે સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેશે. રાજ્ય સરકારના તાજેતરના સર્વે આદેશથી આશા જગાઈ છે કે પાક નુકસાન માટે યોગ્ય વળતર અને સહાય જાહેર થશે.