માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જુનાગઢમાં 9 મહિનાનું બાળક LED બલ્બ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો….

Child Swallowed LED Bulb: કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢના રહેવાસી એવા જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર (Child Swallowed LED Bulb) મોહમ્મદને છેલ્લા 15 દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યું હતું.

નાના બાળકોના માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના
જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની હતી. જ્યાં સારવાર અર્થે બાળક ને લઇ આવતા તારીખ 3 જૂન, 2025ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગ માં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું હતું.

શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ ફસાઈ ગયો હતો
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉક્ટર નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યું હતું.

અમદાવાદમાં સફળ સર્જરી કરવામાં આવી
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વકની સારવારનો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનું જીવંત ઉદાહરણ છે. ડોક્ટર જોષીએ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યું હતું કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગેની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટેની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહની થીમ જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન રાખવામાં આવી છે.

બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારી ઓ વિશે જાગ્રુત રહી પોતાના બાળકમાં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જન નો સંપર્ક કરવી જોઇએ જેથી વહેલી તકે આવી બીમારીનું નિદાન કરી બાળકની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડોક્ટર જોષીએ લોકોને સંદેશ આપ્યો હતો.