રૂપાણીનું કબુલ હૈ: ગુજરાત સરકારે 2 વર્ષમાં માત્ર 1777 યુવાઓને સરકારી નોકરી આપી, ચાર લાખ છે બેરોજગાર

ગુજરાતમાં દિવસેને દિવસે બેરોજગારોની સંખ્યા વધી રહી છે, અને આ વાતનો પુરાવો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ આપી દીધો છે. ગુજરાત રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં 4,12,985 લોકો બેરોજગાર બેઠેલા છે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ સહિત કુલ 15 જિલ્લાઓમાં બે વર્ષમાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

વર્તમાન સમયમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન પુછાયેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર ગુજરાત રાજ્યમાં કુલ 4,12,985 લોકો બેરોજગાર બેઠેલા છે. જેમાંના કુલ 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગારો છે. આમ કુલ મળીને રાજ્ય સરકારના ચોપડે કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે. અને છેલ્લા બે વર્ષમાં ફક્ત 1777 બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે.

22 લાખ યુવાઓને રોજગારી આપવાની જાહેરાત
નાણાપ્રધાન નીતિન પટેલે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતાં 22 લાખ યુવાઓને આગામી 5 વર્ષોમાં નોકરી આપવાની મહત્વની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ જાહેરાત સફળ નિવડે છે કે, નિષ્ફળ? તેની સાક્ષી સમય જ આપશે. રાજ્યના લાખો યુવાઓને નોકરી આપવાની ગુજરાત સરકારની વાતો પાછળ હકીકત તો બીજી જ કંઈ હોવાનું દેખાઈ રહ્યું છે.

છેલ્લા બે વર્ષોમાં ફક્ત 1777 યુવાઓને જ મળી સરકારી નોકરી
રાજ્યનું યુવાધન નોકરી મેળવવા માટે આંદોલન કરી રહ્યું છે અને તેમછતાં નોકરીનો કોઈ અતોપતો નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવા બેરોજગારો સરકારી નોકરીઓ માટે આંદોલન કરી રહ્યા છે. બીજીતરફ ભારતીય જનતા પાર્ટી રાજ્યના લાખો યુવાનોને નોકરી મળશે તેવી જાહેરાતો કરી રહી છે. અને વર્તમાન સમયમાં સરકારમાં લાખો લોકોને રોજગાર મળતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પણ આજે સરકારનું સત્ય સરકારના મોઢે જ સામે આવી ગયું છે. ગૃહમાં સરકારે આપેલા જવાબથી આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. આનું એકમાત્ર કારણ છે કે, વિધાનસભામાં રાજ્ય સરકારે જ જાહેર કરેલાં આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં લાખો લોકોને સરકારી નોકરી આપવાની વાત તો દૂર રહી પરંતુ માત્ર 1777 લોકોને જ નોકરી મળી છે. પરંતુ હાલમાં તો એકસાથે 22 લાખ લોકોને નોકરી આપવાની સરકારે જાહેરાત કરી છે. હવે આવનારો સમય કહી બતાવશે કે, સરકારની જાહેરાત માત્ર જાહેરાત જ રહી ગઈ કે હકીકત પણ બની…

તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના કુલ 15 જિલ્લાઓમાં એક પણ યુવાઓને નોકરી અપાઈ નથી. છેલ્લ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને કુલ 15 જેટલા જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. આમ ગૃહમાં જ સરકારી આંકડાઓથી રાજ્ય સરકારના લાખો યુવાઓને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ ખોટા સાબિત થયા છે.

વર્ષ 2021ના બજેટમાં આવનારા 5 વર્ષમાં 2 લાખ સરકારી નોકરીની જાહેરાત નોંધનીય છે કે, નાણાપ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2021નું બજેટ રજૂ કરતા સમયે 22 લાખ યુવાઓને નોકરી આપવાની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર આવનારા પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે. મેન્યુફેકચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ અને બેંકિંગ સર્વિસ સેકટર જેવા દરેક ક્ષેત્રોમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. જો રાજ્ય સરકાર બે વર્ષમાં માત્ર 1777 લોકોને જ સરકારી નોકરી આપી શકી છે તો આગામી 5 વર્ષોમાં શું ખરેખર 2 લાખ યુવાઓને સરકારી નોકરી મળશે કે પછી આ જાહેરાત પણ સરકારના અન્ય વાયદાઓની જેમ રાજ્યના યુવાઓ માટે લોલીપોપ જ સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *