સાબરકાંઠામાં 3 બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; એકનું કમકમાટી ભર્યું મોત

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે રોડ પર ગત રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે(Sabarkantha Accident) પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને અફરાતફરી સર્જાઈ હતી.

બાઈકચાલકનું ઘટના સ્થળ પર મોત
મળતી માહિતી અનુસાર શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર ત્રણ બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાને લઈને આજબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ચાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક સરકારી દવાખાને પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત
આ અંગે તપાસ કરનાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે , ગઈકાલે રાત્રે ત્રણ બાઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમીનપુર ગામના સુમીતભાઈ ભલાભાઈ રાવત યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. જયારે બાકીના ચાર જેટલા ઈજાગ્રસ્તો હતા. આજે સવારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરાઈ છે.

નોંધનીય છે કે, પુરપાટ ઝડપથી વાહન ચલાવવાના કારણે અનેક વખત ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં યુવાનો જીવના જોખમે બેદરકારીપૂર્વક વાહન ચાલવતા હોવાનું સામે આવતું રહ્યું છે.