ઓપરેશન ક્લીન ચંડોળા સતત બીજા દિવસે યથાવત: ફરીથી કામે લાગી ગયા તંત્રના બુલડોઝર

Chandola Lake Demolition: અમદાવાદમાં ઓપરેશન ‘ચંડોળા તળાવ ક્લીન’ યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તેમાં ગઇકાલે (Chandola Lake Demolition) સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવશે. ડિમોલિશનની કામગીરીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.જો કે ગઈકાલે 60 ટકા જેટલી કામગીરી પુરી કરાઈ છે.

બીજા દિવસે ડિમોલેશનની કામગીરી યથાવત
આ સવારથી એટલે કે સતત બીજા દિવસે, સવારથી અંદાજે નાના- મોટા 150 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાંથી બહારના ભાગે એટલે કે મુખ્ય રોડ ઉપરથી ચંડોળ તળાવ દેખાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ
આ ડિમોલિશનની શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલ લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજે 150 ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજીત 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા.

આમ અંદાજે 1 લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે. અમદાવાદ JCP એ જણાવ્યું કે, 890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછમાં લલ્લા બિહારીનું નામ સામે આવ્યું જેણે ચંડોળા તળાવામાં માટી નાખીને મસમોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને તેમાં દેહવેપારનાં ધંધાનું સંચાલન કરતો હતો.

રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે જબરદસ્ત એક્શન લીધા
આ મામલે સમયાંતરે સ્ટે હટતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા ડિમોલીશન કાર્ય હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી. આ વખતે દેશહિતમાં અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે જબરદસ્ત એક્શન લીધા છે. અને ચંડોળા તળાવ નજીકના દબાણોનો મોટા પાયે સફાયો કરી નાંખવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કાર્યવાહીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે. અને ગુજરાત પોલીસની ત્વરિતતાને જોતા અન્ય રાજ્યોમાં બિનઅધિકૃત રહેતા નાગરિકો વિરૂદ્ધની કામગીરી વેગ પકડે તેવી પ્રબળ શક્યતાઓ છે.