‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’ અંતર્ગત સુરત પોલીસે 15 દિવસમાં 41 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો

Surat News: સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 45 લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરણા ગામેથી વરાછા પોલીસના(Surat News) મથકના કોન્સ્ટેબલે દબોચી લીધા હતા.

માલિકે માન્યો પોલીસનો આભાર
સુરતમાં 45 લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરણા ગામેથી વરાછા પોલીસના મથકના કોન્સ્ટેબલે એકલા હાથે ઝડપી લીધા હતા. તેની સાથે 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડી અને રોકડા 3 લાખ રૂપિયા કબજે કર્યા હતા. જે માલિકને માત્ર 15 દિવસમાં પરત અપાવવામાં વરાછા પોલીસે મદદ કરી કરી હતી. ટુંકાગાળામાં મુદ્દામાલ પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા
રાકેશ નંદકુમાર ગુપ્તા સિટી લાઈટ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહે છે અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટાપાયે જોબવર્ક કરે છે. જેમની પાસેથી કામરેજ શિવ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ 45 લાખની 12,499 નંગ સાડી જોબવર્ક માટે લીધી હતી. વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા.

ત્રણ આરોપીની ધરપકડ કરી
વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર કામરેજથી બે પૈકી એક ભાઈ રાકેશ ચૌહાણને દબોચી લીધો હતો. નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવડ ગામે ભાગી છૂટ્યો હતો. તેની સાથે સાડીઓ સગેવગે કરનાર રિંગ રોડ વી.ટી.એમ. માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેઢી ધરાવતો વિક્રમ ઉર્ફે વીકી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું.

બંને આરોપી ભાગી જાય તેમ હતા તે સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું. તે દરમિયાન પોલીસે વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાઠેના, કામરેજ, અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પુણાગામ બાપા સીતારામ સોસાયટીમાં જોબવર્ક માટે આપેલી સાડીઓ સહિત 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડીઓ કબજે કરી હતી. આ સાથે રોકડા ત્રણ લાખ પણ કબજે કર્યા હતા. વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત માલ પરત કર્યો
41.50 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જે સાડીઓનો મુદ્દામાલ ચોમાસાની સીઝનમાં પડી રહેવાથી ખરાબ ન થાય અને માલિક રાકેશને આર્થિક સંકડામણનો સામનો કરવો ન પડે તે માટે રાકેશ સાથે સંકલનમાં રહી યોગ્ય માર્ગદર્શન આપી ટૂંકાગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો કોર્ટમાં અરજીઓ કરાવી હતી. જેથી કોર્ટ સાથે પણ સંકલનમાં રહી કોર્ટમાંથી ઓર્ડર મેળવી ફક્ત પંદર દિવસમાં ફરીયાદીને તેઓનો સાડીઓનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કર્યો હતો.