UP થી ભાજપ કોંગ્રેસ માટે આવ્યા ખરાબ સમાચાર, કોંગ્રેસ વગર મહાગઠબંધન થયું ફાઇનલ

Published on: 8:38 am, Wed, 19 December 18

ગણતરીના દિવસોમાં 2019ની લોકસભા ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ દ્વારા યુપીએ ગઠબંધન ને મહાગઠબંધન માં મુખ્ય આધાર એવા ઉત્તરપ્રદેશથી કોંગ્રેસને પણ ચિંતા થાય તેવા સમાચાર આવી રહ્યા છે. લોકસભાની બેઠકો માટે બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા ફાઈનલ કરી દીધી છે. મહાગઠબંધનની આ ફોર્મ્યુલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાં કોંગ્રેસને જગ્યા આપવામાં આવી નથી. હાલમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ બદલાયેલા રાજકીય સમીકરણોને જોતા માનવામાં આવી રહ્યુ હતુ કે કોંગ્રેસ પણ યુપીમાં મહાગઠબંધનનો હિસ્સો બનશે પરંતુ આવુ ન બન્યુ.

રાજકીય માધ્યમોથી સમાચાર છે કે અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડતા રહ્યા છે. આ બંને સીટોને કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. આ સિવાય ની બેઠકો અખિલેશ યાદવ અને માયાવતીએ લોકસભા ચૂંટણી માટે યુપીમાં સીટોની વહેંતણીને અંતિમ રૂપ આપી દીધુ છે. યુપીની 80 લોકસભા સીટો પર નક્કી કરેલ ફોર્મ્યુલા મુજબ બહુજન સમાજ પાર્ટી (બસપા) 38 સીટો પર, સમાજવાદી પાર્ટી (સપા) 37 સીટો પર અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) 3 સીટો પર ચૂંટણી લડશે. બચેલી બે સીટો અમેઠી અને રાયબરેલીમાં સપા કે બસપા પોતાના ઉમેદવાર નહિ ઉતારે.

જાણકારોનું માનીએ તો ગત લોકસભા ચૂંટણીમાં ગઠબંધન ના અભાવે જ ભાજપને ભરપૂર ફાયદો થયો હતો અને આ વખતે તેવું ન બને તેની તકેદારી રૂપે મોદી સરકારને કેમ સત્તા પરથી દૂર કરવી તેના પ્રયત્નો શરૂ થઇ ગયા છે પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે અખિલેશ યાદવ કે માયાવતી કોઈપણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વડાપ્રધાન ઉમેદવાર તરીકે જોવા માંગતા નથી. ભલે અત્યારે બન્નેએ બેઠકોનો વહીવટ કરી લીધો હોય પરંતુ મહાગઠબંધન રચવા પ્રયત્ન કરી રહેલા મમતા બેનર્જી, શરદ પવાર, સ્ટાલિન વગેરે નેતાઓ ના હસ્તક્ષેપથી ઉત્તરપ્રદેશની આ સીટ વહેંચણીમાં કોંગ્રેસ પણ માથું મારશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

અગાઉ મહાગઠબંધન ના આગ્રહી રહેલા અખિલેશ અને માયાવતીએ હાલમાં જ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓની શપથવિધિ થી અંતર રાખીને સ્પષ્ટ ઈશારો કરી દીધો હતો કે તેઓ ભાજપની વિરુદ્ધ છે, પણ કોંગ્રેસ સાથે નથી. હવે તો આગામી સમય જ બતાવશે મહાગઠબંધન હિટ જાય છે કે ફ્લોપ.