રક્તદાન એ મહાદાન: ગઢીયા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન

Surat Blood Donation Camp: રક્તદાન દ્વારા આપણે કોઈક વ્યક્તિને નવું જીવન આપી શકીએ છીએ.આ દાનએ સૌથી મોટું અને વિશેષ દાન કહેવામાં આવે છે. એ તો દરેક લોકોને ખબર જ છે. પરંતુ આ રક્તદાન દ્વારા વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને પણ એક નવું દાન આપી શકે છે.ત્યારે ગઢિયા ફાઉન્ડેશન(Surat Blood Donation Camp) દ્વારા સુરતમાં કતારગામ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઢીયા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
ઘણા લોકો બીજાના દુઃખમાં સહભાગી થતા હોય તે ભાવનાથી રક્તદાન તો કરે જ છે. પરંતુ ઘણા લોકો રક્તદાનથી શરીરને થતા અનેક ફાયદાથી અજાણ હોય છે. જેથી તેઓ રક્તદાન કરવામાં પાછી પાની કરતા હોય છે.પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે પણ લોકોએ રક્તદાન કરવું જોઈએ.

પોતાના સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું મહત્વનું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા અને જરૂરિયાતમંદ લોકો‌ સુધી રક્ત પહોચાડવા માટે ગઢીયા ફાઉન્ડેશન દ્વારા કતારગામ વિસ્તાર તથા અડાજણ વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.

કુલ 101 યુનિટ રક્ત એકત્ર થયું
કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. તેમજ રક્તદાન દરમ્યાન કુલ 101 યુનિટ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન કરનાર દાતાઓને ઇકો ફ્રેન્ડલી ઝુંબેશના ભાગરૂપે સ્મૃતિ ભેટ સ્વરૂપે એક છોડ, ખાદી બેગ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગઢિયા ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાના ભાગરૂપે આગામી દિવસોમાં પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.

રક્તદાન કરવાના ફાયદા
રક્તદાન કરવાથી શરીરમાં નવું રક્ત બનવાનું શરૂ થાય છે. જેને લઈને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સિવાય રક્તદાન કરવાથી હૃદયને પણ ફાયદો થાય છે. જેથી લોકો જો નિયત સમયે રક્તદાન કરે તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નિવડે છે.