‘ઘરમાં ઘૂસીને મારીશું, કારને બોમ્બથી ઉડાવીશું…’ સલમાન ખાનને કોણ આપી રહ્યું છે વારંવાર ધમકી?

Salman Khan Threat: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ (Salman Khan Threat) નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

સલમાનને ફરી મળી ધમકી
સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી અત્યાર સુધી આ ધમકી મુદ્દે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ ધમકીની હાલ કોઈએ જવાબદારી પણ લીધી નથી. ભાઈજાનના ચાહકો આ સમાચારથી ચિંતિંત થઈ ગયા છે. અગાઉ પણ સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે અનેક વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાન જીવને જોખમ હોવાની ધમકીઓ વચ્ચે પણ પોતાનું કામ કરી રહ્યો છે. તેણે પોતાના રોજિંદા જીવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

સુરક્ષા વધુ કડક કરવામાં આવી
મુંબઈ પોલીસ હાલ અલર્ટ સ્થિતિમાં છે અને સલમાન ખાનના ઘર તથા આસપાસની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ અભિનેતા સલમાન ખાનને વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના સાથીદારો તરફથી અનેક વખત ધમકી મળી ચૂકી છે. પોલીસ તપાસમાં જોવાઈ રહ્યું છે કે આ નવા મેસેજ અને અગાઉની ધમકીઓ વચ્ચે કોઈ કડી છે કે નહીં. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલ પણ આ મામલે જોડાઈ ગઈ છે જેથી શખ્સની ઓળખ કરી શકાય. હાલમાં સલમાન ખાનના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પહેલા ક્યારે ધમકીઓ મળી હતી?
સલમાન ખાનને પહેલાથી જ ફોન નંબરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. જ્યાં આ વખતે આ ધમકી મુંબઈના વર્લીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર આપવામાં આવી છે. ગયા વર્ષે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, મેસેજમાં અભિનેતા પાસેથી માફી માંગવા અને લોરેન્સ બિશ્નોઈ સાથેના મામલાનું સમાધાન કરવા માટે 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સનો નજીકનો ગણાવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન પૈસા નહીં આપે તો તેમની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાન ખાનની ફિલ્મ
આ રમઝાન ઈદ પર સલમાનની સિકંદર ફિલ્મ રિલીઝ થઈ હતી. એ.આર મુર્ગદાસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સલમાનની સામે રશ્મિકા મંદાના લીડ હિરોઈનની ભૂમિકામાં હતી. નબળી સ્ટોરી લાઈનના કારણે આ ફિલ્મ ચાહકોને વધુ પસંદ આવી નથી. જેના લીધે તે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રેકોર્ડ બનાવી શકી ન હતી. એકંદરે સલમાન ખાનની આ ઈદી તેના ચાહકોને પસંદ આવી ન હતી.