સામાન્ય લોકોને મળશે મોંઘવારીમાંથી રાહત: ટૂંક સમયમાં ઘટશે શાકભાજીના ભાવ, જાણો કારણ

Vegetable Prices: મોંઘવારીને લઈને સારા સમાચાર છે. સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘવારીમાંથી રાહત મળવાની આશા વધી છે. હકીકતમાં, ભારતમાં આ વર્ષે (13 સપ્ટેમ્બર સુધી) લાંબા ગાળાની સરેરાશ કરતાં 8 ટકા વધુ વરસાદ થયો છે. આ કારણોસર આગામી સમયમાં શાકભાજી (Vegetable Prices) અને દૂધના સરેરાશ છૂટક ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે લણણીની મોસમ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સારા ચોમાસાને કારણે વાવણી વિસ્તારમાં વધારો થયો છે
આ વર્ષે 6 સપ્ટેમ્બર સુધી કુલ 109.2 મિલિયન હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ છે અને તેમાં ગત વર્ષની સરખામણીએ વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સિઝનમાં તમામ મુખ્ય પાકોની સારી વાવણી જોવા મળી છે.

41 મિલિયન હેક્ટરમાં ચોખા, 12.6 મિલિયન હેક્ટરમાં કઠોળ, 18.9 મિલિયન હેક્ટરમાં બરછટ અનાજ અને 19.2 મિલિયન હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થયું છે. કુલ વાવણી વિસ્તાર સામાન્ય વાવણી વિસ્તારના 99 ટકા છે, જ્યારે 2023 માં આ આંકડો 98 ટકા હતો.

સપ્લાય વધવાથી ભાવ ઘટશે
ભાવમાં તાજેતરનો ઘટાડો વધારાના પુરવઠાને કારણે થયો હતો અને જ્યાં સુધી નવો પુરવઠો બજારમાં ન આવે ત્યાં સુધી ભાવ થોડા સમય માટે સ્થિર રહી શકે છે, એમ અહેવાલમાં જણાવાયું છે. બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી અદિતિ ગુપ્તા કહે છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ સારો વરસાદ પડ્યો છે. જેના કારણે ડેમોમાં પાણીના ભંડારમાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં 2.2 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 817.9 મીમી વરસાદ થયો છે, ગયા વર્ષે આ આંકડો 684.6 મીમી હતો.