વડતાલધામમાં ચૈત્રી સમૈયાની પુર્ણાહુતીમાં હજારો હરિભક્તો વહેલી સવારથી ઉમટ્યા

Vadatal Chaitra Samaiya: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં શનિવાર તા.12 એપ્રિલના રોજ બપોરે 11 કલાકે ચૈત્રી સમૈયાની (Vadatal Chaitra Samaiya) ધામધૂમપૂર્વક પુર્ણાહુતી યોજાઈ હતી.સાથે-સાથે આજે કષ્ટભંજનદાદાનો જન્મોત્સવ હોય,વડતાલ ધામમાં સંતનિવાસ વરંડામાં આવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિયજ્ઞની પુણ્યાહુતિ પૂ.મોટા લાલજી સૌરભપ્રસાદદાસજીના હસ્તે સંપન્ન થઈ હતી. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

પુર્ણાહુતી સભામાં વડતાલ ટેમ્પલ કમીટીના નવા નીમાયેલા ટ્રસ્ટી બોર્ડના સભ્યોનો સન્માન સમારંભ તથા જુના ટ્રસ્ટી બોર્ડના સભ્યોનો અભિવાદન સમારંભ પણ યોજાયો હતો પૂ.મોટા લાલજી તથા વડીલ સંતોએ ટ્રસ્ટી બોર્ડના નવા સભ્યોને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ તાળીયોના ગડગડાટથી વધાવી અભિનંદન આપ્યા હતા.

શ્રી હરિ સ્મૃતિ કથાનું હજારો ભક્તોને રસપાન કરાવ્યું
વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલધામમાં બાંધેલ કાર્તિકી(પ્રબોધિની) એ ચૈત્રી સામૈયામાં પોતાના આશ્રિતોને વણતે કે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. તા.6એપ્રિલથી તા.12 એપ્રિલ સુધી શાસ્ત્રી પ્રિયદર્શનસ્વામીએ શ્રી હરિ સ્મૃતિ કથાનું હજારો ભક્તોને રસપાન કરાવ્યું હતું.આજે ચૈત્રસુદ પૂર્ણિમાના રોજ બપોરે 11 કલાકે ચૈત્રી સમૈયાની પુર્ણાહુતી યોજાઈ હતી.

વડીલ સંતોના હસ્તે પૂજન કરવામાં આવ્યું
આ પ્રસંગે વડતાલધામ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી,મુખ્યકોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી,સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી સ્વામી કણભા (આણંદ) સત્સંગ ભૂષણસ્વામી સુરત વેડ રોડના પ્રભુચરણ સ્વામી હરિયાળા ગુરુકુળના ભક્તિસ્વામી પી.પી.સ્વામી સુરત સહીત સંપ્રદાયના વડીલ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પુણ્યાહુતિ સભામાં ત્યાગસ્વામીએ ભક્તોને પ્રેરણા કરાવી લક્ષ્મીનારાયણદેવ,હરિકૃષ્ણમહારાજ તથા વાસુદેવ નારાયણના ચાંદીના વાઘા અર્પણકર્યા હતા.જેનું પૂજન મોટા લાલજી સૌરભપ્રસાદજી ચેરમેન દેવપ્રકાશસ્વામી કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી પૂ.શા.નૌતમપ્રકાશદાસજી પ્રભુચરણસ્વામી (વેડરોડ-સુરત), કણભા (આણંદ) સત્સંગ ભૂષણસ્વામી પીપી સ્વામી સહીત સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું.