તહેવારોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે લીધો ગરીબોની આંતરડી ઠારતો નિર્ણય, જાણો મળશે આટલું અનાજ

Gujarat Government: રાજ્યમાં દરેક લોકો તહેવાર ધામધૂમથી માનવી શકે તે માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને રાહત મળી છે. રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો માટે રાહતદરે વધારાની(Gujarat Government) ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. 

અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભા બાવળીયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવાર આવી રહ્યા છે જેને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- ૨૦૧૩ હેઠળ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની 3.60 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઓગસ્ટ-2024 માસમાં ઘઉં, ચોખા અને “શ્રી અન્ન” -બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. રાજ્યની ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે આ વિતરણ  કરવામાં આવશે.

અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું કે, રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ – સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ. 100 પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15 ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ રાજયના 66 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની ૩.૨૩ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે જો પરિવારમાં 5 વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તમેજ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા ચણા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવશે.