PM મોદી અને અમિત શાહને ભાંડનાર જય વસાવડાને પારુલ યુનિવર્સીટીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવતાં વિવાદ વકર્યો

Jay Vasavada News: સોશિયલ મીડિયા પર મંગળવારથી (27 મે) એક ઑડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અવાજ ગુજરાતના ‘લેખક’ અને કૉલમિસ્ટ જય વસાવડાનો (Jay Vasavada News) હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં તેઓ કોઈક સાથે રાજકારણ પર ચર્ચા કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે જે ટિપ્પણીઓ કરે છે, તેના કારણે વિવાદ સર્જાયો છે તો બીજી તરફ પારુલ યુનિવર્સીટીમાં જય વસાવડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવતા વધુ વિવાદ વકર્યો છે, સાથે જ લોકો આ યુનિવર્સટીનો પણ બહિષ્કાર કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

છેલ્લા થોડા કલાકથી ઝડપથી વાયરલ થયેલા આ લગભગ ચારેક મિનિટના ઑડિયોમાં જય વસાવડા કહે છે કે, “લોકો કહે છે કે આપણે સરકાર વિરુદ્ધ નથી લખતા પણ હમણાં જ ટેક્સ પર સરકારની વિરુદ્ધ લખ્યું હતું અને મોદી જોતો પણ હશે છતાં તેણે સિલ્વર પાસ મોકલ્યું. આગળ કહે છે કે, ટેક્સ પર આટલો આકરો લેખ લખ્યો તોપણ ‘મન કી બાત’માં મને જ બોલાવ્યો હતો.”

આગળ પણ મોદી વિશે કહે છે કે, “આપણે તો હિંદુત્વના મુદ્દે પણ કેટલું આકરું-આકરું લખ્યું છે….જોકે મોદી તો હિંદુત્વવાદી છે જ નહીં ને…ઓલો એમ કહે છે ને કે મોદી હિંદુત્વવાદી છે જ નહીં.” ઑડિયોમાં આગળ એમ પણ કહે છે કે મોદીને ક્યારે શું કરવું એની આવડત છે અને હિંદુ-મુસ્લિમવાળું કે દાઉદવાળું કશુંક કાઢશે અને મુદ્દો ભટકાવી દેશે.

જય વસાવડાનું કોલ રેકોર્ડીંગ

આગળ વસાવડા કોઈક ‘સરકારવિરોધી લેખ’નો ઉલ્લેખ કરીને કહે છે કે તેનું શું કરવું જોઈએ. જવાબમાં સામેની વ્યક્તિ તેમને હાલ ન લખવાની સલાહ આપે છે. અહીં જય વસાવડા અમિત શાહનો ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે, “એક વખત તો આપણે અમિત શાહની કુંડળી પણ કાઢી લીધી હતી.પણ શ્રેયાંશભાઈએ છાપ્યો જ નહીં.” આગળ કહે છે કે, “ત્યારે તો ઓલો જેલમાં જવાનો હતો ત્યારે આપણે કચકચાવીને લખ્યું હતું. ‘પ્રપંચતંત્ર’ મને હજુ યાદ છે, એ લેખનું ટાઇટલ પણ મેં આપ્યું હતું.” ત્યારબાદ પણ ભાજપ-કોંગ્રેસના ઉલ્લેખ સાથે અમુક ચર્ચા થાય છે. લગભગ 4 મિનિટ 44 સેકન્ડનો આ ઑડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પારુલ યુનિવર્સીટીએ જય વસાવડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા થયો વિવાદ
જો કે આ વિવાદ બાદ પણ પારુલ યુનિવર્સીટીએ જય વસાવડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા હવે આ વિવાદ વધુ વકર્યો છે, સોશિયલ મીડિયામાં પારુલ યુનિવર્સીટી અને જય વસાવડાને બોયકોટ કરવાની માંગ ઉઠી છે.કેટલાક લોકોએ કહ્યું કે આ યુનિવર્સીટીમાં પોતાના છોકરાવને ક્યારેય ન ભણાવવા જોઈએ.તો અન્ય એક યુઝરે લખ્યું છે કે,’મેં તો મારા છોકરાની ફી ભરી દીધી છે તે પણ હવે હું પાછી લઇ લઈશ અને મારા છોકરાને અહિયાંથી ઉઠાડી લઈશ તો કેટલાક લોકો કહે છે કે પોતાને જ ભાષા પર સંયમ નથી ગાળું બોલે છે, ત્યારે શું કોલેજના મેનેજમેન્ટ વિભાગવાળા લોકોને આ કાંઈ જ નહીં દેખાતું હશે…..

આ ઑડિયો વાયરલ થયા બાદ ભાજપ અને મોદી સમર્થકોમાં આક્રોશ છે અને તેનું કારણ એ છે કે જય વસાવડા ફેસબુક અને જાહેરમાં મોદીની પ્રશંસા ઘણી વખત કરી ચૂક્યા છે, ઘણા સરકારી કાર્યક્રમોમાં પણ જોવા મળે છે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં પણ જઈ ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે તેઓ અંદરખાને તેઓ શીર્ષ નેતૃત્વ વિશે આ પ્રકારની ટિપ્પણીઓ અને ગતિવિધિઓ કરે છે અને ઉપરથી અભિમાન પણ કરે છે કે તેઓ મોદી અને શાહની વિરુદ્ધ લખે છે છતાં તેમને સરકાર તરફથી આમંત્રણો આપવામાં આવે છે.

સમર્થકો તરફથી સોશિયલ મીડિયા પર હવે એક જ માંગ ઉઠી રહી છે કે સરકાર આવા માણસોને ઓળખી લે અને મોદી અને શાહ વિશે આ પ્રકારની ટિપ્પણીઓ સાંખી લેવામાં નહીં આવે. અગાઉથી તેમને સરકારી કાર્યક્રમો આપવામાં ન આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. જોકે પાર્ટીમાંથી પણ અમુક નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે.