નવરાત્રીના પર્વમાં ફૂલના ભાવ ઘટતા ગ્રાહકો ખુશખુશાલ; જાણો કેટલો થયો ઘટાડો

Gujarat Flower Price : નવલી નવરાત્રિના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે. આ મહાપર્વના 9 દિવસ ભક્તો દેવી શક્તિની ઉપાસના કરવાનું ચૂકતા નથી અને હિંદુ ધર્મમાં કોઈપણ પૂજા-અર્ચના ફૂલ વગર તો શક્ય જ નથી. જોકે, આ વર્ષે નવરાત્રિમાં ફૂલબજારમાં ફૂલોના ભાવમાં (Gujarat Flower Price ) વધારાની જગ્યાએ ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ ફૂલોની આવકના વધારા સામે ગ્રાહકોની માંગ ઘટતા વેપારીઓ પણ મૂંઝાયા છે.

આ વર્ષે ફુલ બજારમાં ફૂલોના ભાવમાં ઘટાડો નોંધાયો
નવરાત્રિના પૂજન-અર્ચનમાં ફૂલનું એક અનેરૂ મહત્વ હોય છે ત્યારે વેપારીઓ આ દિવસોમાં ફૂલના ભાવમાં તેજી આવવાની આશાએ બેઠા હોય છે પરંતુ, આ વર્ષે ગણેશ મહોત્સવ અને ભાદરવા મહિનામાં વરસાદ વરસતા ફૂલનો પાક ધોવાઈ ગયો હતો.

જેને કારણે શ્રાવણ અને ભાદરવા મહિનાના સમયગાળા દરમિયાન ફૂલનો ભાવ આસમાને પહોંચ્યો હતો પરંતુ, નવરાત્રિમાં આ વર્ષે ફુલ બજારમાં ફૂલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વરસાદ બંધ થતાં ફૂલની આવકમાં વધારો થયો છે, જેની સામે બજારમાં ફૂલની માંગ ઘટતા હાલ વેપારીઓ સસ્તા ભાવે માલનું નિકાલ કરી રહ્યા છે.

ફૂલોના ભાવમાં 20થી 25 ટકાનો ઘટાડો નોંધાયો
અમદાવાદ શહેરના સૌથી મોટા ફુલ બજાર એવા જમાલપુર ફુલ બજારમાં હાલમાં ગલગોટા-ગુલાબ સહિતના ફુલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં બજારમાં ગલગોટાનો ભાવ ₹60થી લઈને ₹100 રૂપિયા સુધી જ્યારે ગુલાબનો ભાવ ₹200થી લઈને ₹250 સુધી બોલાઇ રહ્યો છે. આ ઉપરાંત આસોપાલવના તોરણ ₹80થી લઈને ₹100 સુધીમાં મળી રહે છે.

નવરાત્રીમાં સૌથી વધુ ફૂલોની માંગ હોય છે. આ વર્ષે નવરાત્રીમાં જ ભક્તો માતાજીને ફૂલ ચડાવશે, તેવી ચર્ચા થઇ રહી છે.