રૂપાણી સરકારે ખેડૂતોને પકડાવ્યો લોલીપોપ- ખાતરના નામે ખેડૂતોને આપવામાં આવ્યા ધૂળઢેફાં

દાંતામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021 ના પ્રારંભ વખતે જ ખાતરમાં માટી નીકળ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. દાંતા માર્કેટયાર્ડમાં ખાતરને લઈ ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જો કે બીજી બાજુ ખાતર વિતરણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડ્યા હતાં. અત્રે મહત્વનું છે કે, રાજ્યના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે ખાતર બિયારણ આપવાની જાહેરાત કરાઇ હતી. તો સાંસદ પરબત પટેલે ગુણવત્તાવાળા ખાતરની ખાતરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે.

રાજ્ય સરકારે પાછલા એક દશક એટલે કે ૧૦ વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે કુલ ૧૦ લાખ વનબંધુ ખેડૂતોને રૂ. ૨૫૦ કરોડની સહાય આપી છે. આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને ટેક્નોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળે અને આર્થિક સમૃદ્ધિ મેળવે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એકાદ દિવસ અગાઉ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેઓએ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોના પરિવારોના શિક્ષણ આરોગ્ય રોજગારી સહિતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા મળી છે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો.

CM રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના આદિજાતિ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તે દ્વારા પણ સારું ખેત ઉત્પાદન મેળવે તેવી નેમ રાખી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે. રાજ્યના આદિજાતિ ખેડૂતો તેમને મળનારી સહાય લાભથી આ વર્ષે વધુ ખેત પેદાશો ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કૃષિ વૈવિધ્યકરણ યોજનાના શુભારંભ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *