પૂરપાટ ઝડપે આવતી કારે શ્રદ્ધાળુઓને હડફેટે લેતા 6 લોકોને ભરખી ગયો કાળ, જાણો સમગ્ર ઘટના

Bihar Accident: બિહારના બાંકામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં 6 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત (Bihar Accident) થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધી શકે છે.

અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા એસડીએમ અવિનાશ કુમારે જણાવ્યું હતું કે, ‘ઘટનાની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં 10 વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 6 લોકોના મોત થયા છે, જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને વહીવટીતંત્ર સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. અમે ઘટનાની તપાસ કરીશું.’

રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ ચાંપી
પોલીસના જણાવ્યાનુસાર, શુક્રવારે રાત્રે બાંકા જિલ્લામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં 6 કાવડિયાઓના મોત થયા હતા અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ કાવડયાત્રીઓ સુલતાનગંજથી ગંગા જળ લઈને જૈષ્ટગોરનાથ મહાદેવ મંદિર જઈ રહ્યા હતા.

આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનને પણ આગ ચાંપી દીધી હતી. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભીડને શાંત કરી હતી.

લગભગ 400 લોકોનું ટોળું મંદિર જઈ રહ્યું હતું
બાંકાના એસડીપીઓ બિપિન બિહારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાંકા જિલ્લાના શંભુગંજ ઇંગ્લિશ ટર્ન રોડ પર નાગરડીહ ટર્ન પાસે શુક્રવારે રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ ડાયલ 112 ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ લોકો ગુસ્સે થઈ ગયા હતા. ગુસ્સે થયેલા લોકોના હુમલામાં ઈન્સ્પેક્ટર બબન માંઝી ઘાયલ થયા છે.