અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ 5 લોકોને ઉડાવ્યા, 1ની હાલત ગંભીર; જુઓ વિડીયો

Ahemdabad Drunk Policeman: અમદાવાદમાં પોલીસકર્મીએ જ બેફામ કાર હંકારતાં એકથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટના રાણીપ વિસ્તારમાં (Ahemdabad Drunk Policeman) બની હતી જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના દૃશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસકર્મીએ જ બેફામ કાર હંકારતાં સર્જાયો અકસ્માત
માહિતી અનુસાર વાહનચાલક પોલીસ કર્મીની ઓળખ યુવરાજ સિંહ તરીકે થઇ હતી. તે રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો જે દરમિયાન એક મોપેડને અડફેટે લીધી હતી. આ દરમિયાન એક લારી, એક બાઇકચાલક પણ અકસ્માતમાં લપેટાઈ ગયો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમની સારવાર ચાલી રહી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસકર્મી નશામાં ધૂત હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ
ઘટના વિશે જાણકારી આપતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી યુવરાજસિંહની કારે પુરઝડપે મોપેડને ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલક સંજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત રોડની સાઇડમાં ઉભેલી મુમતાઝ શેખ સહિત ત્રણને ઈજાઓ થઈ હતી.

પોલીસકર્મી કાર મૂકી બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો
અકસ્માતના બનાવ બાદ પોલીસકર્મી કાર મૂકી બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા રાણીપ પોલીસ લાઈનમાં રહે છે અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.