રામપુર નજીક બે બસની ટક્કર થતાં ચાર લોકોનાં મોત; 48 ઘાયલ, જાણો સમગ્ર ઘટના

Rampur Accident: લખનૌ દિલ્હી હાઈવે પર સોમવારે સવારે બે બસ વચ્ચેની અથડામણમાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે 48 મુસાફરો ઘાયલ થયા હતા.જેના કારણે થોડીવાર તો અફરાતફરીનો માહોલ સર્જાયો(Rampur Accident) હતો અને રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી
સવારે ચાર વાગ્યે લખનઉથી દિલ્હી જઈ રહેલી સાહિબાબાદ ડેપોની જનરથ બસ હરિદ્વારથી શ્રાવસ્તી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે અથડાઈ હતી. બંને બસના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. તેમજ આ અકસ્માત બાદ ઘટનાસ્થળે ઘાયલોમાં ચીચીયારીઓ મચી ગઈ હતી.

જે બાદ જાણ થતાં પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા બંને બસમાંથી ઇજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઘાયલોને જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલ પરિસરના ફ્લોર પર પડેલા ઇજાગ્રસ્તો દર્દથી ધ્રૂજી રહ્યા હતા. હોસ્પિટલમાં દરેક જગ્યાએ ઘાયલ લોકો જોવા મળ્યા હતા.

17 ગંભીર રીતે ઘાયલ
ગંભીર રીતે ઘાયલ 17 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. 13 મુસાફરોને મિલક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક સારવાર બાદ અન્ય મુસાફરો રવાના થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ જોગેન્દ્ર સિંહ અને પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પરિવાર શોકમાં ગરકાવ
જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર મૃતકોમાં ખાનગી બસનો ડ્રાઈવર પણ સામેલ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને મુસાફરોને ઘરે લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.જો કે અકસ્માતમાં અકાળે ચાર લોકોના મોત થવાથી તેના પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થયા છે.