હનીટ્રેપમાં ફસાવી પરણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી પકડાઈ, જાણો વિગતે

Honeytrap News: સુરતના વરાછા મીનીબજારમાં આવેલ રેસ્ટોરન્સના માલિકને તેના જ રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ પતિ, જેઠાણી અને જેઠ સાથે મળી હનીટ્રેપમાં (Honeytrap News) ફસાવી પૈસા પડાવ્યા હતા. ટોળકી દ્વારા વધુ 5 લાખની માંગણી કરી રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવાની ધમકી આપતા આખરે કંટાળીને રેસ્ટોરન્ટના માલિકે કામરેજના તાપી પુલ પરથી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. રેસ્ટોરન્ટના માલિકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જે વીડિયોના આધારે પોલીસે તેની પત્નીની ફરિયાદ લઈ દેરાણી- જેઠાણી સહિત ચાર આરોપીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

5 લાખ રૂપિયાની ઉઘરાણી કરતાં હોવાથી અંતિમ પગલું મોત
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાસોદરા વિસ્તારમાં રહેતા પત્ની અને એક પુત્ર સાથે રહેતા યોગેશભાઈ જાવિયા (48) વરાછા સ્થિત મિની બજાર ખાતે હોટલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ આજથી બે મહિના પહેલા ઘરેથી ગુમ થઈ ગયા હતા. જે બાદ આજે ઉત્તરાણ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે અંતિમ પગલું ભરતા પહેલા યોગેશભાઈએ પોતાના સાઢુભાઈને વીડિયો શેર કર્યો હતો. જેમાં પોતાની હોટલમાં કામ કરતી મહિલા સહિત 4 લોકોએ હની ટ્રેપમાં ફસાવીને 5 લાખ રૂપિયાની ઉઘરાણી કરતાં હોવાથી અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે.

મોત પહેલા વિડીયો બનાવ્યો હતો
પોતાના અંતિમ વીડિયોમાં યોગેશભાઈએ જણાવ્યું કે, મારી હોટલમાં નયના ભરત ઝાલા કામ કરી હતી. મને નયના અનુ ઝાલા અને નયના ભરત ઝાલાએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ સમગ્ર કાંડની માસ્ટરમાઈન્ટ નયના ભરત ઝાલાની જેઠાણી નયના અનુ ઝાલા છે. મને નયના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી અમે પાછા આવતા રહ્યા. જે બાદ નયના અનુ ઝાલા મારી પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી રહી છે. જો નહી આપે, તો તને મારી નાંખીશ અને તારી દુકાનમાં તોડફોડ કરીશે તેવી ધમકીઓ આપીને મજબૂર કરી મૂક્યો.આ બન્નેએ મારી પાસેથી પૈસા પણ પડાવી લીધા અને હજુ બીજા 5 લાખ રૂપિયા માટે ધમકીઓ આપી રહ્યા છે. નયનાના કારણે મેં મારી પત્ની અને છોકરાને નોંધારા કરી મૂક્યા. મારી આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ નયના અનુ ઝાલા, નયના ભરત ઝાલા તેમજ ભરત ઝાલા તથા અનુ ઝાલા છે. આ ચારેય મારા મોત માટે જવાબદાર છે. તેમના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. આથી આ ચારેયને બરાબરની સજા થવી જોઈએ તેવી મારી વરાછા પોલીસને માંગ છે.

મૃતકની પત્નીએ આપ્યું નિવેદન
બીજી તરફ મૃતકની પત્નીએ જણાવ્યું કે, મારા પતિ રેસ્ટોરન્ટ ચલાવતા હતા, જેમાં નોકરી કરતી એક મહિલા સાથે તેઓ ભાગી ગયા હતા. એ 5 દિવસ પછી પરત આવી ગઈ હતી, પરંતુ તેની જેઠાણી ફોન કરીને 5 લાખ રૂપિયા પડાવવા માટે બ્લેકમેઈલ કરતી હતી. જેના કારણે મારા પતિ બે મહિનાથી ઘરે આવ્યા જ નથી. આ મામલે હું પોલીસ સ્ટેશનમાં ગઈ તો મને એક પછી એક પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવ્યા, પરંતુ મારી ફરિયાદ કોઈએ ના લીધી. બે દિવસ પહેલા જ મારા જીજાજીને પોતે સ્યુસાઈડ કરી રહ્યા છે, તેવો વીડિયો મોકલ્યો હતો. જેથી અમે 100 નંબર પર ફોન કરીને જાણ પણ કરી હતી. આ સમયે તેમનું મોબાઈલ લોકેશન ગોધરા બતાવતું હતુ. જેથી સુરત પોલીસે ગોધરા અમારી હદમાં આવતું ના હોવાનો જવાબ આપ્યો હતો.

ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને વરાછા પોલીસે તારાપુર નજીક ટ્રાવેલ્સ બસમાંથી ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલ આરોપીઓના નામ:
નયનાબેન ભરતભાઈ ઝાલા (રહે-માતાવાડી વરાછા સુરત મુળ વતન- મફતનગર નવાગામ રોડ ગારીયાધાર જી-ભાવનગર)
ભરતભાઇ ઝાલા (રહે-માતાવાડી વરાછા સુરત મુળ વતન- મફતનગર નવાગામ રોડ ગારીયાધાર જી-ભાવનગર)
નયનાબેન હનાભાઇ ઝાલા (વરાછા સુરત મુળ વતન- મફતનગર નવાગામ રોડ ગારીયાધાર જી-ભાવનગર)
હનાભાઇ ઉર્ફે હનુભાઇ ઝાલા (વરાછા સુરત મુળ વતન- મફતનગર નવાગામ રોડ ગારીયાધાર જી-ભાવનગર)