સ્વાદ પ્રેમીઓ માર્કેટમાં આવી ગઈ છે ગીરની મધમીઠી કેસર કેરી: તાલાલા મેંગો માર્કેટમાં એક બોક્સનો જાણો કેટલા રૂપિયા બોલાયો ભાવ

Kesar Keri: દેશભરમાં પ્રસિધ્ધ અને વિદેશોમાં જેની ગત વર્ષે 300 ટન નિકાસ થઈ હતી તે સૌરાષ્ટ્રની આગવી ઓળખ એવી તાલાલાની કેસર કેરીની(Kesar Keri) નવી સીઝનનો આજથી આરંભ થયો છે. તાલાલા ગીર યાર્ડના સૂત્રો અનુસાર આજે પ્રથમ દિવસે 5760 બોક્સની આવક થઈ છે. પ્રત્યેક 10 કિલોના આ બોક્સ મહત્તમ રૂપિયા 1350 અને ન્યુનત્તમ રૂ.625ના ભાવે હરાજી થઈ હતી. ખેડૂતોને ગત વર્ષે મહત્તમ ભાવ રૂ.1150 કરતા આ વખતે ઉંચા ભાવ મળ્યા છે.

આ વર્ષે હરાજી 13 દિવસ મોડી
શિયાળાની ઋતુ બગડતા તેમજ અનુકૂળ પવન, ઝાકળવર્ષા વગેરેના અભાવથી કેરીના પાકને નુક્શાન થયું છે. આ વિસ્તારમાં અંદાજે 5 લાખ બોક્સ (પાંચ હજાર ટન) કેરીના ઉત્પાદનનો અંદાજ છે જ્યારે ગત વર્ષે હરાજી તા.18-4-2023 -ના શરૂ થઈ હતી અને આ વર્ષે હરાજી 13 દિવસ મોડી શરૂ થઈ છે. ગત વર્ષે કૂલ 11,13,540 બોક્સની આવક નોંધાઈ હતી અને ભાવ સરેરાશ રૂ. 425ના રહ્યા હતા. સીઝન પણ લાંબો સમય ચાલી હતી ત્યારે આ વર્ષે ઓછો સમય સીઝન ચાલે તેવી શક્યતા છે.

6 પેઢીના વેપારીઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેચાણ કર્યા
તાલાલાથી મળતા અહેવાલ મૂજબ કેસર કેરી ખરીદવા સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ આજે પ્રથમ દિવસે જ ઉમટયા હતા. યાર્ડના ચેરમેન સંજય શીંગાળા સહિત હોદ્દેદારોએ નવી સીઝનને વધાવવા પ્રથમ 6 પેઢીના વેપારીઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેચાણ કર્યા હતા. પ્રથમ બોક્સ શૂકન તરીકે રૂ. 1600થીં રૂ.13,000 માં વેચાણ થયું હતું.

આ વર્ષે 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના
તાલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બોક્સની આવક થઈ છે. તો અત્યાર સુધીમાં યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષે 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6થી 7 લાખ બોક્સ આ સિઝન દરમિયાન આવશે તેવી ધારણા કેસર કેરીના વેપારી કાળુભાઈ બોરીચાએ વ્યક્ત કરી હતી.

વરસાદ ન થાય તો સિઝન 30થી 45 દિવસ સુધી ચાલશે
તાલાલા APMCના ચેરમેન સંજય શીંગાળાના જણાવ્યા મુજબ વર્તમાન સિઝનમાં કેસરના ઉત્પાદનમાં ઘટાડો જરૂર નોંધાય તેવું લાગી રહ્યું છે. જો આ વખતે કમોસમી વરસાદ ન થાય તો સિઝન 30થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેસરના શરૂઆતી ભાવો રહેશે. પછી જેમ-જેમ માલ બજારમાં આવતો જશે તેમ-તેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં કકળાટ ફેલાયો છે.