ગુજરાતના ખેડૂતો માટે સુવર્ણ તક: આ પાકની ખેતી કરનાર ખેડૂતોને રાજ્ય સરકાર કરી રહી છે 75%ની સહાય

Coconut Cultivation: સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના દ્વારા લોકોને નાળિયેરના ગુણોથી જાગૃત કરવા અને નાળિયેરના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભારત નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં(Coconut Cultivation) પ્રથમ સ્થાન ધરાવે છે, જેમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. નાળિયેર ખેડૂતોને મહત્તમ આવક મેળવવા અને નાળિયેર વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહ્યું છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નાળિયેરી વિકાસને સતત આગળ વધાર્યું હતું. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,900 હેકટરનો વધારો થયો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન 23.60 કરોડ યુનિટથી વધુ છે.

ગુજરાતમાં નાળિયેરી ઉત્પાદનની ભરપુર સંભાવનાઓ છે
વધુમાં કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્ય પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. એટલા માટે અહીં નાળિયેરી ઉત્પાદનની શક્યતા સૌથી વધુ છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં 45.61 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખીને નાળીયેરીનો વાવેતર વિસ્તાર વધીને 70 થી 80 હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં થાય છે.

નાણાકીય સહાયની મદદથી નાળિયેરનું ઉત્પાદન વધુ વેગથી થશે.
ગુજરાત રાજ્યમાં નાળીયેરીની ખેતી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” હાથ ધર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે સહાય આપવામાં આવે છે, જેમાં 75 ટકા ખર્ચ સુધી રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં આપવામાં આવે છે.ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂ. 438 લાખ જેટલી જંગી રકમની જોગવાઈ કરી છે.

નાળિયેરીના ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી, સરકાર ખેડૂતોને ઉત્તમ સહાય પૂરી પાડી રહી છે. આ સહાય પોષણ અને જીવાત વ્યવસ્થામાં ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 5,000 પ્રતિ હેકટરની મર્યાદામાં આપવામાં આવે છે. આ ઉપરાંત, નાળિયેરીના પ્લાન્ટીંગ મટેરીયલ માટે પણ ખર્ચના 90 ટકા મુજબ રૂ. 13,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

ઉનાળાના દિવસોમાં નાળિયેરની માંગ સર્વાધિક હોય છે
ગુજરાતમાં થતા નાળિયેરનું 20 ટકા ત્રોફા અને 42 ટકા પાકા નાળિયેર તરીકે ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે 5 ટકા નાળિયેરનું ઉત્પાદન કરે છે. ગુજરાતથી ઉત્પાદિત થતા નાળિયેરની લગભગ 33 ટકા હિસ્સો અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. ઉનાળામાં બારે માસ મળતા નાળિયેરની માંગ સૌથી વધુ હોય છે.

નાળિયેરના મૂલ્યવર્ધન દ્વારા સારી આવક
ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને કલ્પવૃક્ષની સમાન માનવામાં આવે છે. તે મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ હોવાથી તેનું મૂલ્યવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક ખેડૂતો અને કૃષી એકમો નાળિયેરના ઉત્પાદનો જેવા કે તેલ, વિવિધ પ્રકારના ખોરાક, પાણીના ટેટ્રાપેક/બોટલ, કુકી, બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ અને ઓઈલ કેક બનાવી અને તેનું વેચાણ કરી મબલખ આવક મેળવી રહ્યા છે.