શ્રીજી ભક્તો દ્વારા અનોખી ઉજવણી; સામાજિક દુષણ સામે અવેરનેસ લાવવા “સુદામા કા રાજા” ગ્રુપ દ્વારા જાગૃતિ કાર્યક્રમ

Surat Sudama Ka Raja: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે સુદામા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાપ્પાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણેશોત્સવના 9 દિવસ સુધી રોજ રાતે 9.00 વાગ્યાથી ડાયરાનું(Surat Sudama Ka Raja) આયોજન કરવામાં આવશે. આ સાથે જ સુદામા ટ્રસ્ટ દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત લોકોને નશામુક્ત રહેવા આહ્વાન કરવામાં આવે છે.

ભવ્ય યાત્રા નીકળી હતી
સુરત શહેરમાં ગણેશ ઉત્સવની જબરજસ્ત ઉજવણી કરવાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારે તરફ પ્રતિમાઓને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને લાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આ યાત્રામાં મોટા લાઇટિંગ, ડીજે, ઢોલ નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ, જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નિકળી રહી છે.

સુદામા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન
સુરતમાં પહેલાં મોટા મંડળો જ આગમન યાત્રા કાઢતા હતા, પરંતુ હવે સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેઓ પણ આગમન યાત્રા કાઢી રહ્યાં છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક ખાતે સુદામા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા છે.

ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
ગણપતિ મહોત્સવ દરમિયાન 9 દિવસ ખ્યાતનામ કલાકારોના કંઠે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નશામુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે જેથી આજના યુવાનો નશાના રવાડે ના ચડે. રોનકભાઈ ઘેલાણી અને ભોતિકભાઈ પટેલ દ્વારા આ આયોજનમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વ્યસન મુક્તિના સંદેશા સાથે વિઘ્નહર્તાનો સાથ અને આદિ યોગીનો આશીર્વાદ થીમ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુદામા કા રાજા ગણપતિનું વિસર્જન સ્થળ પર જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે મોટા પ્રમાણમાં યુવાનો વ્યસનથી ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, વ્યસન મુક્તિ અને ડ્રગ્સનું દુષણ સમગ્ર માનવ જગતમાંથી દૂર થાય, ટ્રાફિક અવેરનેસ, અંગદાન અંગે અવેરનેસ, હેલ્થ અવેરનેસની જરૂરિયાત છે. આ અવેરનેસ લાવવાનો મુખ્ય હેતુ “સુદામા કા રાજા” નો છે.