ગુજરાતના આ ત્રણ ગામના લોકો ૧૦૦ વર્ષથી નવરાત્રિ ઉજવતા નથી

નવરાત્રિ ઉત્સવની ગુજરાતના ખૂણે ખૂણે રમઝટ જામી છે, ગુજરાતની આગવી ઓળખ ગણાતો નવરાત્રિ ઉત્સવ સિમાડા પાર કરીને હવે પરદેશ સુધી પહોંચ્યો છે તેમ છતાં રૃઢીઓ…

નવરાત્રિ ઉત્સવની ગુજરાતના ખૂણે ખૂણે રમઝટ જામી છે, ગુજરાતની આગવી ઓળખ ગણાતો નવરાત્રિ ઉત્સવ સિમાડા પાર કરીને હવે પરદેશ સુધી પહોંચ્યો છે તેમ છતાં રૃઢીઓ અને પરંપરામાં માનતા ધરાવતા કેટલાક ગામોમાં દાયકાઓ પછી નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી નથી. એટલું જ નહી ગામમાં માંડવી સ્થાપના કે માતાજીની આરતી પણ કરવામાં આવતી ન હોવાથી ગામમાં સોંપો પડી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે. ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી વિહોણા આ અનોખા ગામ અભરામપુરા, મહાદેવપુરા (ડાભલા) અને આનંદપુરા (કુકરવાડા) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા છે. જે જિલ્લા મથક મહેસાણાથી ૪૦ કિમીના અંતરે છે.

નવાઇની વાત તો એ છે કે નવરાત્રિના ૯ દિવસ રાસ ગરબાથી અળગા રહેતા આ ગામના લોકો દિવાળી પહેલાના નવ દિવસને નવરાત્રિ માનીને ધામધોમથી ઉજવણી કરે છે. નવો જમાનો આવ્યો, પેઢીઓ બદલાઇ પરંતુ દિવાળીએ નવરાત્રિ ઉજવવાની ૧૦૦ વર્ષ જુની પરંપરા બદલાઇ નથી.

નવરાત્રિએ નહી કાળી ચૌદશે ફૂલ ગરબા રમાય છે

આખી દુનિયામાં નવરાત્રિના રાસની રમઝટ ચાલતી હોય ત્યારે મહાદેવપુરા (ડાભલા) ગામમાં નવરાત્રિ થતી નથી પ્રાપ્ત માહિતી અનુસાર જયારથી ગામ બંધાયું ત્યારથી વડવાઓએ એ નવરાત્રિ રમવાની પ્રથા જ રાખી ન હતી એનું હજુ પાલન થાય છે. નવરાત્રિના સ્થાને મહાદેપુરામાં વિસત, મહાકાળી, જોગણી જે માતાજીની માનતા રાખી હોય એમના નામના ફૂલોના ગરબા કાળી ચૌદસે કાઢવામાં આવે છે. આ ફૂલોના ગરબાના પ્રસંગને ગામ લોકો ધામધૂમથી ઉજવે છે.

દિવાળી નજીક આવે એટલે ગામની નવરાત્રિ શરુ થાય 

એવી જ રીતે કુકરવાડાને અડીને આવેલા આનંદપુરા ગામમાં પણ નવરાત્રિના ઢોલ ઢબુકતા નથી  એ અંગે ગામ લોકોનું માનવું છે કે આનંદપુરા ગામ કુકરવાડાથી છુટું પડયું ત્યારથી નવરાત્રિ થતી નથી પરંતુ વડવાઓએ કરેલી રીત મુજબ જેના ઘરે પહેલા સંતાનનું પારણું બંધાય એના ઘરેથી કાળી ચૌદસના રોજ ગામ ગરબો નિકળે છે. શેરડીના ૧૦૧ સાંઠાની માંડવી પર દિવાઓ કરીને  મહિલાઓ અને પુરુષો ૧ કીમી દૂર આવેલા મંદિરે જાય છે. બદલતા જમાનામાં નવરાત્રિ ના રમ્યા એનો અફસોસ ના રહે એ માટે આસો વદ છઠ્થી શરૃ કરીને કાળી ચૌદસ સુધી ૯ દિવસ ગરબા ગાવામાં આવે છે પરંતુ નવરાત્રિ નહી રમવાની પ્રથા ગામમાં આજે પણ અકબંધ છે. નવરાત્રિમાં રસ ધરાવતા યુવાનો બાજુમાં આવેલા કુકરવાડામાં જાય છે.

અભરામપુરા ગામમાં ઉછરી રહેલી નવી પેઢીએ પણ નવરાત્રિ શબ્દ સાંભળ્યો નથી. છેલ્લા 100 વર્ષથી કોઇએ ગામમાં નવરાત્રિ જોઇ નથી. આની પાછળનું માતાજીનું કાંઇ કારણ છે કે નહી એની કોઇને ખબર નથી પરંતુ પહેલેથી જ પ્રથા ના હોવાથી હવે કોઇ નવરાત્રિ રમવાની નવી પ્રથા શરુ કરવા કોઇ તૈયાર નથી. 1700 લોકોની વસ્તી ધરાવતા આ ગામ પણ કાળી ચૌદશના ગરબાનું મહત્વ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *