હેલ્મેટ મામલે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ; બહાર પાડ્યું મહત્ત્વનું નોટિફિકેશન, જાણો વિગતે

Gujarat Helmet Rules: ગુજરાત હાઇકોર્ટે મંગળવારે (8 ઑક્ટોબર) રાજ્યના અધિકારીઓને 15 દિવસની અંદર ટુ-વ્હીલર સવાર, જેમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટના નિયમનો કડક અમલ શરુ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની (Gujarat Helmet Rules) ખંડપીઠે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. ચીફ જસ્ટિસે જાહેરનામું બહાર પાડી અધિકારીઓને ટુ-વ્હીલર પાછળ બેસનારને પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો છે.

જનહિતની અરજીનો વ્યાપ વધાર્યો
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પાંજરાપોળ ચાર રસ્તા પર ફ્લાયઓવર બનાવવાની યોજનાનો વાંધો ઉઠાવનાર આંબાવાડીના નિવાસીઓ દ્વારા જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ અરજીના વિષયને વિસ્તૃત કરી તેમાં ટ્રાફિકની સમસ્યાનો પણ સમાવેશ કરી દીધો છે. જેમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ‘અહીં કોઈ હેલ્મેટ નથી પહેરતું. મેં અમદાવાદમાં પોતાના એક વર્ષના પ્રવાસ દરમિયાન કોઈ ટુ-વ્હીલર સવારને હેલ્મેટ પહેરતા નથી જોયો. મને હંમેશા નવાઈ લાગે છે કે, હેલ્મેટ પહેરવાનો આગ્રહ કેમ નથી રાખતા?’

કોર્ટે ટ્રાફિક પોલીસને કર્યા સવાલ
આ જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ‘બોડકદેવ વિસ્તારના રસ્તા પર સવારે ત્રણ વાગ્યા સુધી વાહનોની અર-જવર રહે છે. આ મુંબઈમાં મુસાફરી કરવા જેવું છે. તેમ છતાં અહીં સવારે કે સાંજે કોઈ હેલ્મેટ નથી પહેરતું. તેથી મને સમજ નથી પડતી કે, આ લોકો (ટ્રાફિક પોલીસ) શું કરી રહ્યા છે? હેલ્મેટ ન પહેરવા પર ચલણ? જો કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો ચલણ કાપવાનો અર્થ શું છે? પછી તે વીણી-વીણીને પોતાનું મન થાય, ત્યારે અમુક લોકોને પકડી લે છે. બપોર સુધી, થાકી જાય અને પછી પકડવાનું પણ બંધ કરી દે. પછી એક અઠવાડિયા સુધી શાંતિ અને પાછું ફરી આ શરુ થઈ જશે.’

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પાંજરાપોળ ક્રોસરોડ પર ફ્લાયઓવર બાંધવાની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(AMC)ની યોજના સામે વાંધો ઉઠાવતી આંબાવાડીના રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી PILની સુનાવણી દરમિયાન ટુ-વ્હીલર સવારો અધિકારીઓને હેલ્મેટ પહેરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશોએ જનહિતની અરજીનો વ્યાપ વિસ્તારવાનો આદેશ આપ્યો હતો અને શહેરમાં ટ્રાફિકની સ્થિતિ, એસજી રોડ પરની સમસ્યાઓ અને ફ્લાયઓવર બનાવવાની શક્યતાને ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો હતો.

કોર્ટે સેફ્ટી હેડગિયરની પ્રથાની ટીકા કરી
આ સિવાય સેફ્ટી હેડગિયરનો ઉપયોગ ન કરવાની પ્રથાની ટીકા કરતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘મેં અહીં હેલ્મેટની દુકાનો જોઈ નથી. ગુજરાતમાં કોઈ તેનું ઉત્પાદન કરતું નથી.’આ ઉપરાંત, અરજદારોના વકીલે શહેરના રસ્તાઓ પર રોંગ સાઇડ પર વાહન ચલાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મુદ્દે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મુદ્દા પર પણ ધ્યાન આપવું જોઈએ. આ વિષય પર ટિપ્પણી કરતાં ન્યાયમૂર્તિએ કહ્યું કે, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ છે કારણ કે તેણે એક વર્ષથી વધુ સમયથી ભરતી કરી નથી. હાઇકોર્ટે કહ્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ થાય ત્યારે તાત્કાલિક ધોરણે ઈ-ચલણ કાપવું જોઈએ.