નવરાત્રીના છેલ્લા દિવસે પણ મેઘરાજાની રમઝટ: ગુજરાતના આ જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Heavy Rain in Gujarat: નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની (Heavy Rain in Gujarat) વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.

ગરબા આયોજકોની ચિંતા વધી
હવામાન વિભાગની અને અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદે તોફાની બેટીંગ કરતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.

રસ્તાઓ પાણી પાણી થયા
સૌરાષ્ટ્રની વાત કરીએ ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તાર ઊંચા કોટડા અને નીચા કોટડાના ગામોમાં વરસાદ પડ્યો. આ તરફ અમરેલીના ખાંભા શહેર તેમજ ગામ્ય વિસ્તાર નાનુડી, ભાડ, ઇંગોરાળા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હવે ગરબાની મજા બગડી છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા બજારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગયા છે. રાજુલાના નાગેશ્રી, મીઠાપુર, બાલાનીવાવ, ભટવદરમાં પણ વરસાદે બેટિંગ કરી હતી. ગીર સોમનાથના કોડીનારમાં અડધો કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા.

જિલ્લાઓમાં બેથી 3 ઇંચ વરસાદ પડ્યો
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન આવેલા વરસાદે ખેલૈયાઓની મજા જરૂર બગાડી મુકી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાક એટલે દશેરા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જે બાદ જ વરસાદની રાહત મળવાની શકયતાઓ છે. દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં બેથી 3 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી શકે છે.

આગામી સમયમાં પડશે વરસાદ
વલસાડ જિલ્લામાં વાપી અને આસપાસ વિસ્તારમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ કપરાડાના નાનાપોંડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. એ મુજબ ગઈકાલે પણ જિલ્લાના વલસાડ ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

આજે સતત બીજા દિવસે કપરાડાના નાનાપોન્ઢા સહિત તાલુકાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આમ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.