સુરતમાં આજે જોવા મળશે રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ: તિરંગા યાત્રા અગાઉ ગૃહમંત્રી સંઘવીએ આપ્યું નિવેદન

Tiranga Yatra In Surat: 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ પહેલા 11 ઓગસ્ટના રોજ સુરતમાં 2 કિલોમીટરની તિરંગા યાત્રા માટે તડામાર તૈયારી થઈ રહી છે. વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના બે કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા નીકળશે. જેમાં ગુજરાતના(Tiranga Yatra In Surat) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જોડાવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી
આ યાત્રા અંગે શનિવારે સુરત શહેર ભાજપના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતા સુરત શહેર ભાજરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે આપણે દર વર્ષે 15 ઓગસ્ટ તો સ્વતંત્રતા દિન તરીકે તો ઉજવીએ છીએ પણ જયારે હિન્દુસ્તાનનું વિભાજન થયું તયારે કરોડો હિન્દુસ્તાનીઓએ ભયંકર યાતના ભોગવી હતી તેને યાદ કરતા 14 ઓગસ્ટને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીશિકા સ્મૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે યુવા કાર્યકર્તાઓ દ્વારા મૌન મશાલ રેલી કાઢવામાં આવશે. આ દિવસ ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવશે આ દિવસોમાં મેડીકલ કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

26મી જાન્યુઆરીની પરેડ જેવી યાત્રા હશે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 11 ઓગસ્ટના રોજ યોજાનારી તિરંગા યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમ્યાન “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવશે જેમાં દરેક ઉંમરના લોકો, દરેક વર્ગ અને સમાજના લોકો જોડાશે 11 ઓગસ્ટના રોજ યોજાનારી તિરંગા યાત્રા ઐતિહાસિક બની રહેશે. આ યાત્રામાં જેમ ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે જે રીતે પરેડ થાય છે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

તિરંગા યાત્રામાં શું શું હશે
તિરંગા યાત્રામાં સુરક્ષા સાથે જોડાયેલા તમામ દળો સામેલ થશે
20થી વધારે બેન્ડ હશે અને લોકો પોતપોતાના પ્રદેશની પરંપરાગત વેશભૂષામાં આવશે — મોટી સંખ્યામાં ટેબ્લો હશે અને આ યાત્રા બે કિલોમીટર લાંબી હશે
લગભગ એક લાખ જેટલા લોકો આ યાત્રામાં સામેલ થશે.

આ કાર્યક્રમોનું થશે આયોજન
લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તા. 10થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા સંદર્ભે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉધના ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે મીડિયાના માધ્યમથી રાષ્ટ્રભક્તિના રંગમાં રંગતા આ અનોખા અવસરમાં સહભાગી થવા સુરતવાસીઓને અપીલ કરી હતી.સાથે જ કહ્યું હતું કે વાય જંકશનથી શરૂ થનારી તિરંગાયાત્રામાં પ્રથમ સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોકવાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિધાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાશે.