ગાંધીનગરમાં સુરત જેવી હચમચાવતી ઘટના: પતિએ પત્ની અને પુત્રની કરી દર્દનાક હત્યા, જાણો સમગ્ર ઘટના

Gandhinagar Crime News: ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ગળે ટૂંપો દઈ અને દીકરાનું તિજોરી (Gandhinagar Crime News) સાથે માથું અથડાવીને હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિએ સુસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. જેમાં શખ્સે લખ્યું હતું કે, ‘શેરબજારમાં દેવું થઈ જતાં આ પ્રકારનું ભગલું ભર્યું હતું.’ શખ્સને હાલ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી.

પતિએ પત્ની-દીકરાને મોતની ઘાટ ઉતારી કર્યો આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના 42 વર્ષીય હરેશ કનુભાઈ વાઘેલાએ તેની પત્ની અને પાંચ વર્ષના દીકારીને મોતને ઘાટ ઉતારીને તિક્ષ્ણ હથિયારથી હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના મામલે પાડોશીને જાણ થતાં 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાને લઈને ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ઘટનામાં પત્ની અને દીકરાનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિએ આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી.

પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરેશભાઈ કનુભાઈ વાઘેલા (ઉં.વ. આશરે 42 વર્ષ) સલૂનની દુકાનમાં નોકરી કરે છે. તેમનાં પત્ની આશાબેન વાઘેલા રસોઈ કામ દ્વારા આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમનો પાંચ વર્ષનો દીકરો ધ્રુવ વાઘેલા ચૌધરી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. મૂળ સુરેન્દ્રનગરનો આ પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી શ્રીરંગ નેનોસિટી 1 સરગાસણ ખાતે રહેતો હતો.