અમદાવાદની ગરમી સહન ન કરી શકયા કિંગ ખાન; લાગી લૂ, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ

ShahRukh Khan Admitted: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને હીટ સ્ટ્રોક બાદ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમની તબિયતને લગતી ઘણી માહિતીઓ સામે આવી હતી. મંગળવારે મોડી રાત્રે તેની તબિયત બગડ્યા બાદ, શાહરૂખને(ShahRukh Khan Admitted) બુધવારે એટલે કે 22 મેના રોજ અમદાવાદની કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત તપાસવામાં આવી હતી. હવે અભિનેતાના સ્વાસ્થ્યને લગતી નવી માહિતી સામે આવી છે.

અભિનેતાને આજે રજા મળી શકે છે
ગઈકાલે, અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે માહિતી પ્રાપ્ત થઈ છે કે કિંગ ખાન હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને હજુ સુધી રજા આપવામાં આવી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હીટ સ્ટ્રોકથી પીડિત શાહરૂખ ખાન અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને ગુરુવારે એટલે કે આજે રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

હોસ્પિટલે કોઈ નિવેદન જારી કર્યું નથી
જોકે, ખાનગી હોસ્પિટલે શાહરૂખ ખાનની તબિયત અંગે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. અભિનેતાને બુધવારે મલ્ટિ-સ્પેશિયાલિટી કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં હાજરી આપવા માટે તે મંગળવારે અમદાવાદમાં હતો.

શાહરૂખ ખાને જીતની ઉજવણી કરી
અમદાવાદના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, ‘ખાન હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શક્ય છે કે તેને આજે રજા આપવામાં આવે. વાસ્તવમાં ગુજરાતના અનેક વિસ્તારો છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીની લપેટમાં છે.

KKR એ મંગળવારે અહીં ક્વોલિફાયર 1 માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઠ વિકેટથી પ્રભાવશાળી જીત નોંધાવી અને તેની ચોથી આઈપીએલ ફાઇનલમાં પ્રવેશ કર્યો. KKRના અધિકારીએ શેર કરેલા વીડિયોમાં શાહરૂખ ખાને પણ સ્ટેડિયમમાં પ્રશંસકો અને ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. હવે KKR રવિવારે ચેન્નાઈમાં ફાઈનલ રમશે.