ખેડૂતે ટ્રેક્ટર ભરીને 2,657 કિલોગ્રામ ડુંગળી વેચીને છલ્લે મળ્યા માત્ર 6 રૂપિયા!

દેશભરમાં ખેડૂતોને લઈને ચારેયકોર ચર્ચા છે. દેશનું રાજકારણ પણ હાલ તેની આસપાસ ફરતુ જણાય છે. તેવામાં મહારાષ્ટ્રમાં એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં…

દેશભરમાં ખેડૂતોને લઈને ચારેયકોર ચર્ચા છે. દેશનું રાજકારણ પણ હાલ તેની આસપાસ ફરતુ જણાય છે. તેવામાં મહારાષ્ટ્રમાં એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતને ઢગલા બંધ ડૂંગળી વેચવાના બદલામાં માત્ર 6 રૂપિયાની જ કમાણી થઈ છે.

અહીં એક ખેડૂતે 2,657 કિલોગ્રામ ડુંગળી વેચી ત્યારે તેને રૂ. 6ની કમાણી થઈ હતી. આ પૈસા ખેડૂતે વિરોધ વ્યક્ત કરવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મની ઓર્ડર કરીને મોકલી આપી હતી.

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના ખેડૂત શ્રેયસ અભાલેએ જણાવ્યું હતું કે, “તેણે 2657 કિલોગ્રામ ડુંગળી એક કિલોના રૂ. 1 લેખે સંગમનેર હોલસેલ માર્કેટમાં વેચી હતી. આટલી ડુંગળી વેચ્યા બાદ ખર્ચ બાદ કરતા તેને માત્ર રૂ. 6 રૂપિયાનો નફો થયો હતો.”

ખેડૂતે વધુમાં ઉમેર્યું કહ્યું કે, “2,657 કિલોગ્રામ ડુંગળીના બદલામાં મને રૂ. 2,916 મળ્યાં હતા. મજૂરી તેમજ ડુંગળીને માર્કેટ સુધી લાવવાનો રૂ. 2910નો ખર્ચ બાદ કરતા મારા હાથમાં રૂ. 6 વધ્યા હતા. મેં ડુંગળી ઉગાડવા અને તૈયાર કરવા માટે રૂ. બે લાખનો ખર્ચ કર્યો છે. તેની સામે મને રૂ. 6નું વળતર મળ્યું છે. મને ખબર નથી કે હવે હું મારું દેવું કેવી રીતે ચુકવીશ.” ખેડૂતે ડુંગળી વેચીને મળેલી રકમનો એ જ દિવસે એટલે કે સાતમી ડિસેમ્બરના રોજ મની ઓર્ડર સીએમ દેવેન્દ્ર ફડણવીસને કરી દીધો હતો.

નાસિક અને અહેમદનગર જિલ્લામાં ડુંગળીના પાકના રેકોર્ડબ્રેક ઉત્પાદનને કારણે ડુંગળીને કિંમતો તળિયે બેઠી છે. તાજેતરમાં નાસિક જિલ્લાના નિફાદ જિલ્લાના એક ખેડૂતે ડુંગળી વેચીને કરેલી કમાણીની રકમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપી હતી.

આ ખેડૂતે તેની ડુંગળી રૂ. 1 પ્રતિકિલો લેખે વેચવી પડી હતી. સંજય સાઠે નામના ખેડૂતે 750 કિલોગ્રામ ડુંગળી વેચીને મળેલી રૂ. 1064ની કમાણી વડાપ્રધાન કાર્યાલયના ડિઝાસ્ટર રિલિફ ફંડમાં દાનમાં આપી દીધી હતી. ખેડૂતોની દયનીય હાલતની ચિતાર રજૂ કરવા માટે ખેડૂતે મની ઓર્ડર કરીને આ રકમ મોકલી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *