દ્વારકામાં 1 જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત: રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ગટગટાવી

Dwarka Mass Suicide Case: આપઘાત કરવો એ તો હવે કેટલાય લોકો માટે સાવ રમત બની ગઈ છે. ત્યારે આજે ફરી એકવાર સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જામનગરનાં માધવબાગ-1માં રહેતાં અશોક જેઠાભાઈ ધુંવા, લીલુબેન અશોકભાઈ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા અને કિંજલબેન અશોકભાઈ ધુંવા નામના એક જ પરિવારના ચાર સભ્યના ધારાગઢ ગામ(Dwarka Mass Suicide Case) પાસેથી મૃતદેહ મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ સ્થળ પર દોડી આવ્યા બાદ પ્રાથમિક માહિતી મળી કે ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે.

એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાત
પોલીસે ચારે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી છે, જોકે હજુ આપઘાતનું કારણ સામે આવ્યું નથી, નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી હાહાકાર મચી ગયો તથા અનેક તર્ક વિતર્કો જન્મી રહ્યા છે.

આ ઘટનાને લઈ પંથકમાં ચકચારી મચી ગઈ છે. આ ઘટનામાં દ્વારકા અને જામનગર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી છે. મૂળ મોડપરના અને હાલ જામનગર રહેતાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. પતિ-પત્ની, દીકરા અને દીકરીએ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે.

ભાણવડ પંથકમાં સન્નાટો
ભાણવડ પંથકમાં સામૂહિક આપઘાત કરનારનો પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો વતની હોવાની જાણકારી મળી રહી છે અને હાલ જામનગરના માધવબાગ ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉં.વ.42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.42), જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉં.વ.20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.18) હોવાનું જાણવા મળ્યું છે.

આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી
મળતી માહિતી મુજબ, એક જ પરિવારના ચાર જેટલા સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. જોકે, પરિવારે કયા કારણસર આ પગલું ભર્યું, તે અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. સાથે જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને સગાસંબંધી તથા આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે. સાથે જ પરિવારે આપઘાત પહેલા કોઇ સ્યૂસાઇડ નોટ લખી હતી કે કેમ? તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.