2જી ઓગસ્ટથી મેઘરાજા ગુજરાતને ધમરોળશે: કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: આજે ગુજરાતમાં મેઘરાજાએ પોરો ખાધો હોય તેમ અમુક ભાગમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે જ્યારે 2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત(Gujarat Weather Forecast) અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. તે સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ ઉપર ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. ચોથા દિવસથી એટલે કે 3 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે એટલે કે અમદાવાદવાસીઓને આગામી 5 દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે કારણ કે, આજની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નથી.

આવશે વરસાદી ઝાપટા
1 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

હળવાથી મધ્યમ વરસાદ
2 ઓગસ્ટના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા વિશેષ સૂચના અપાઈ
હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ ભાગ ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે, જેને કારણે ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. 3 અને 4 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. આ ઉપરાંત આગામી બે દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વીજળીના ચમકારા થઈ શકે છે.

આ સાથે જ 5 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે, 1 ઓગસ્ટ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારબાદ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. આ ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક પણ પહોંચી શકે છે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.