કચ્છમાં મિની લોકડાઉન, જામનગરમાં પહેલીવાર બ્લેકઆઉટ; 1971ની સ્થિતિનું પુનરાવર્તન

Kutch Mini Lockdown: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં (Kutch Mini Lockdown) અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત દેશભરના સરહદી વિસ્તારો એલર્ટ પર છે. પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.બીજી તરફ જામનગરમાં પણ ઈમર્જન્સીની સ્થિતિ છે, ત્યારે ત્યારે કલેક્ટર કેતન ઠક્કર સાવચેતીના પગલાં રૂપે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

કચ્છ જિલ્લામાં એલર્ટ જાહેર
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ Blackoutનું સંપૂર્ણપણે પાલન કરવા જણાવ્યું છે. જ્યારે તણાવની સ્થિતિમાં નાગરિકોને ગભરાવ્યા વગર સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ભુજમાં 2 દિવસ બજાર બંધ
2 દિવસ બાદ સાંજના સમયે વેપારીઓ સ્વયંભૂ દુકાન બંધ રાખવામાં આવશે. તંત્રએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે. બોર્ડર નજીક ખાવડા ગામની દુકાનો બંધ કરવામાં આવી છે.પોલીસ અને તંત્રની અપીલ બાદ લોકોએ વેપાર બંધ રાખ્યા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની તંત્રની સલાહ આપી છે. ભુજ વિસ્તારની મોટાભાગની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. સાવચેતીના ભાગરુપે ડિપોર્ટમેન્ટલ મોલ પણ બંધ કરાયા છે.

જામનગરમાં બ્લેકઆઉટ
કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, ‘જામનગર જિલ્લામાં શનિવારે (10મી મે) રાત્રે 8 વાગ્યાથી રવિવારે (11મી મે) સવારે 6 વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ રહેશે. આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગમાં જનરેટર/ ઈન્વર્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે.’

સાઈરન વાગતા સલામત સ્થળે ખસી જવા અપીલ
જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે 2.15 વાગ્યે સાઇરન વગાડવામાં આવ્યું હતું. શહેરમાં સાઇરન વાગતા લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા માટે આશ્રય લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર તૈયાર છે.