રાજકોટ SP એ થૂંકેલું ચાંટ્યુ?: રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં જયરાજસિંહના બંગલામાં રહેલા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધ્યો ગુનો, ગણેશનું નામ લખવાની હિંમત ના થઈ

Gondal Rajkumar Jat Case: રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે હવે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ ધારાસભ્યના બંગલામાં હાજર અજાણ્યા (Gondal Rajkumar Jat Case) લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે, પોલીસે આખરે મૃતકના પિતાની ફરિયાદ નોંધી છે, જ્યારે ગણેશ જાડેજાએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ગણેશ જાડેજાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ માટે અરજી દાખલ કરવામાં આવી છે.

ગોંડલ પોલીસ દ્વારા નવા CCTV ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી. રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં અસહ્ય શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે કે કુદરતી મૃત્યુ થયું છે? તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના CCTV ફૂટેજ કેમ જાહેર ન થયા, ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહના ઘરની બહાર ઝઘડો કેમ થયો જેના કારણે તેને માર મારવામાં આવ્યો.

રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. હવે પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ પણ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં અકસ્માત નહીં પણ હત્યાનો ઉલ્લેખ છે. જેથી મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કહ્યું, “હું શરૂઆતથી જ કહેતો હતો કે મને અને મારા દીકરાને માર મારવામાં આવ્યો હતો. આ હુમલો પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર થયો હતો. અધૂરા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે. તેથી તેમણે ફરીથી કહ્યું કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે.”

મૃતકના પિતાનું કહેવું છે કે પોલીસ યુવાનને માનસિક રીતે અસ્થિર (Mentally Disable) બતાવવાનો પ્રયાસ કરી રહી છે, UPSC ની તૈયારી કરી રહેલો યુવાન માનસિક રીતે અસ્થિર કેવી રીતે હોઈ શકે? તેથી મૃતક યુવકના પરિવારની માગ છે કે પોલીસ યોગ્ય ખુલાસો કરે. યુવકના મૃત્યુ અંગે રાજસ્થાની જાટ સમુદાયમાં રોષ ભરાયેલો છે. રાજસ્થાની સમુદાયના લોકો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભેગા થશે અને મૃતક યુવાન રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ આપશે.

રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરના કારણે તેનું મોત થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો. જોકે, આ બાબતને માનવા તેમનાં પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની CBI તપાસ કરવાની માગ કરી છે. રાજસ્થાનના ત્રણ સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસની માગ કરી ચૂક્યા છે. આજે બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને CBI તપાસની માગ કરી હતી.