નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમાનો 29 માર્ચથી પ્રારંભ: જાણો ચૈત્ર માસમાં નર્મદાપરિક્રમાનો અનેરો મહિમા

Gujarat Narmada Parikrama: ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી (Gujarat Narmada Parikrama) જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે, જેનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે.

પરિક્રમાર્થીઓની સુવિધા માટે પૂરજોશમાં તૈયારીઓ
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

યાત્રાધામ બોર્ડ પરિક્રમાર્થીઓની સેવામાં ખડેપગે
નર્મદા પરિક્રમાર્થીઓની આસ્થાને ધ્યાનમાં રાખીને અનેકવિધ હંગામી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

કરોડો રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરાઈ
ઉલ્લેખનીય છે કે, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને પગલે નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય કર્મચારી અધિકારી હેડ કેવાટર નહીં છોડવાના આદેશો આપવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓને નર્મદા પરિક્રમા માટે વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. આ વર્ષે નર્મદા પરિક્રમામાં લાખો ભક્તો ઉમટી પડવાની સંભાવનાના કારણે આ નિર્ણય લેવાયો છે.