‘અટલ’ સમર્થક દિનેશભાઈ પનાસરનો પ્રધાનમંત્રી મોદીને ખુલ્લો પત્ર…

આજે દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા, જે જોતા દેશમાંથી મોદીલહેર ઓસરી ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ હાર સ્વીકારી લેતી ટ્વીટ કરી…

આજે દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા, જે જોતા દેશમાંથી મોદીલહેર ઓસરી ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ હાર સ્વીકારી લેતી ટ્વીટ કરી દીધી છે ત્યારે ગુજરાતના એક જુના ભાજપની વિચારધારા ધરાવતા કાર્યકરે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને ખુલ્લો પત્ર લખીને હકીકત જણાવી છે અને પ્રજાથી ડરવાની વાત પણ કરી છે. જે અહીં પ્રસ્તુત છે.

દેશ ના “પ્રધાન સેવક”
શ્રી નરેન્દ્રભાઈ મોદી
હિન્દુસ્તાન ના પાંચ રાજ્યો ની પ્રજાએ તમારા અહંકારને બ્રેક મારી છે, “પ્રજાની લાઠીમાં પણ અવાજ નથી હોતો”

આદરણીય,

પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી,
જેમ તમે લોકો ને મન કી બાત થકી તમારા સંદેશા પહોંચાડો છો એમ આજે મારે પણ મારા મન ની વાત તમારા સુધી પહોંચાડવી છે.

2019 ની ચૂંટણી પહેલા થયેલી આ વિધાનસભાની ચૂંટણી ના પરિણામ હવે જાહેર થઈ ગયા છે. મારો આ સંદેશો આપના સુધી પહોંચશે તે પહેલા ક્યા રાજ્યમાં ક્યા પક્ષની સરકાર રચાશે તે પણ સ્પષ્ટ થઈ ગયુ હશે. 2014 ની લોકસભા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ ના કુશાશન અને ભ્રષ્ટાચારથી થાકી ગયેલી દેશની પ્રજાએ પાછુ વળીને જોયા વગર તમને પૂર્ણ બહુમત નો જનાદેશ આપ્યો હતો.

2014 માં તમને મળેલી જીતનો તમામ શ્રેય માત્રને માત્ર તમને ગયો હતો. દેશને તમારા નામ અને શબ્દોમાં ભરોસો હતો. પરંતુ 2017 માં ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણી અને 2018 માં થયેલી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ,તેલંગાણા અને મીઝોરમ રાજ્ય ની વિધાનસભાની ચૂંટણી તમારા, તમારા ચાણક્ય ગણાતા અમિત શાહ અને ભાજપ માટે ચેતવણી સમાન છે.

2014 માં તમને સત્તા મળી અને તમે વડાપ્રધાન થયા પછી દેશનો સામાન્યમાં સામાન્ય માણસ એવુ માની રહ્યો હતો કે તેમના જીવનમાં હવે સારૂ થશે કારણ તમે અચ્છે દિનની વાત કરી હતી. પરંતુ બહુ પ્રામાણિકપણે વાત કરૂ તો અચ્છે દિન તો ઠીક પણ તેનો અહેસાસ પણ દેશની જનતાને થયો નહીં. તમને પ્રજાએ દેશના વડા તરીકે બેસાડ્યા હતા પરંતુ તમે સત્તામાં આવ્યા પછી તમારા મા વિશ્વાસ મુકનારાઓ માટે કંઈક કરવાને બદલે તમે તો તમારો રાજકિય હિસાબ પુરો કરવામાં અને વિરોધીઓને ખતમ કરવા મા તમારો સમય આપી રહ્યા હતા.
તમારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ સામે જે વાંધો હોય તે તમેં હિસાબ પુરો કરો તેની સામે અમને કોઈ વાંધો ન્હોતો. પરંતુ તમે દેશ ની 120 કરોડ જનતા ની તરફ ધ્યાન આપવાને બદલે માત્ર વિરોધ પક્ષને ખતમ કરવા માટે જ વડાપ્રધાન થયા હોય તેવુ લાગી રહ્યુ હતું.

આજે જે પરિણામ આવ્યા છે તેની જવાબદારી પણ તમારે અને તમારા ચાણક્ય ગણાતા અમિત શાહેજ ઉપાડી લેવી જોઈએ કારણ તમે કાયમ સફળતા જ પિતા થયા છો. તમે ક્યારેય નિષ્ફળતાને ગળે લગાડી નથી. જે રાજ્યો મા તમે હાર્યા છો અને જે રાજ્યમાં કોંગ્રેસ અસાધારણ રીતે મજબુત થઈ છે તેની જવાબદારી પણ તમારે જ લેવી પડશે. તમે દેશને કોંગ્રેસ મુક્ત કરો તેની સામે પણ અમને વાંધો ન્હોતો. પરંતુ તમે તો કોંગ્રેસના ભ્રષ્ટ, કૌભાંડી અને ગુંડા નેતાઓને ભાજપમાં પ્રવેશ આપી ઈમાનદાર લોકો ના લોહી અને પરસેવા થઈ બનેલા ભાજપ પક્ષ ને કોંગ્રેસયુક્ત ભાજપ બનાવી દીધી તો પછી તમારી અને કોંગ્રેસ વચ્ચે કઈ બાબતનું અંતર રહ્યુ? કોઈ પણ લોકશાહી માટે વિરોધ પક્ષની નોંધપાત્ર હાજરી હોવી જરૂરી છે, કારણ તે બેફામ શાસકને રોકવાનું કામ કરે છે. પરંતુ તમારી બિનલોકશાહી પ્રણાલિકાને કારણે વિરોધ પક્ષનું અસ્તીત્વ ખતમ થઈ રહ્યુ હતુ જે અમારી માટે ચિંતાનો વિષય હતો.

પરંતુ તમારા અહંકારને પ્રજાએ બ્રેક મારી છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામે તમને ચેતવ્યા છે કે અહંકારી શાસકને પ્રજા ક્યારેય મંજુર કરતી નથી. તમારી પહેલા ઈન્દીરા ગાંધી સત્તાના અહંકારમાં ભુલી ગયા તો પ્રજાની લાઠીમાં અવાજ હોતો નથી. 2019 લોકસભાની ચૂંટણીને થોડા મહિના જ રહ્યા છે, તમારા નજીકના ગણાતા લોકો હવે તમને છોડી ને જઈ રહ્યા છે. તમે જેમની પાસે નોટબંધી કરાવી તેઓ ત્યારે પણ તમારી સાથે સંમત્ત ન્હોતા તેવુ હવે તેઓ કહી રહ્યા છે. નોટબંધી થઈ ત્યારે મેં કહ્યુ હતું કે તમારો નિર્ણય ખોટો અથવા સાચો છે તેના માટે તમને સમય આપવો જરૂરી છે. પરંતુ નોટબંધીના બે વર્ષ બાદ સમજાય છે કે નોટબંધીને કારણે કોને ફાયદો થયો અને ક્યા ચોરો જેલમાં ગયા તે હજી પણ સ્પષ્ટ થયુ નથી, જેઓ પ્રામાણિક છે તેમની હાલત વધારે ખરાબ થઈ છે. પ્રામાણિક વેપારી તેની આવકના 1000 રૂપિયામાંથી 300 રૂપિયા ઈન્કમટેક્સ ભરે અને 180 રૂપિયા જીએસટી ભરે છે. આમ તે 1000માંથી 480 રૂપિયા તો ટેક્સ પેટે સરકારને આપે છે આ કેવી વ્યવસ્થા છે.

તમે રાજકારણના કીડા છો, તમે હમણાં સુધી કોંગ્રેસ અને તમારા વિરોધીઓને મ્હાત આપતા રહ્યા છો. પરંતુ દરેક વાતમાં રાજકારણ લાવ્યા વગર દેશને અને દેશના એક એક નાગરિકના જીવનમાં સારૂ થાય તે માટે પ્રયાસ કરજો નહીંતર પ્રજા 2019 માં તમારો પણ હિસાબ કરી નાખશે. તમારી ફોજમાં સારૂ કહેનાર ચાપલુસોની સંખ્યા વઘારે છે, ખરેખર તમને કડવુ કહેનારની પણ તમને જરૂર છે. બધુ જ સારૂ થશે તેવી પ્રાર્થના સાથે..

હિન્દુસ્તાન, અટલ બિહારી વાજપેયી જી ચાહક

દિનેશભાઈ મથુભાઈ પનાસર
સુરત.(ગુજરાત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *