આયુષ્માન યોજનામાં કૌભાંડ-ગેરરીતિ મામલે સરકાર એક્શન મોડમાં: 3000થી વધુ હોસ્પિટલો સામે કાર્યવાહી

PMJAY: આયુષ્માન ભારત યોજના દેશભરના અનેક લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અનેક લાભાર્થીઓ (PMJAY) જોડાયેલા છે અને તેઓ તેનો બહોળા પ્રમાણમાં લાભ પણ લઈ રહ્યા છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ આચરાયું હોવાના તેમજ ગેરીતિ કરાઈ હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દો ગૃહમાં ચર્ચાયો છે.

બોગસ ક્લેમ અટકાવીને 643 કરોડ રૂપિયાની બચત કરાઈ
વાસ્તવમાં હાલ સંસદના બજેટ સત્રના બીજા તબક્કા હેઠળ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન આયુષ્માન ભારત યોજના (PMJAY) અંગે પ્રશ્ન પૂછવામાં આવતા કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘આયુષ્માન ભારત યોજના હેઠળ આચરાયેલા કૌભાંડ અને ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

યોજના હેઠળ ખોટી રીતે ક્લેમ કરીને રકમ મેળવવાનો પ્રયાસ કરવા મામલે સમયસર કાર્યવાહી કરીને નુકસાન અટકાવાયું છે. લાખોની સંખ્યાના બોગસ ક્લેમ અટકાવીને 643 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે. કૌભાંડ અને ગેરરીતિમાં સામેલ 3000થી વધુ હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. અનેક હોસ્પિટલોને પેનલમાંથી હાંકી કઢાઈ છે. જ્યારે કેટલીક હોસ્પિટલોને દંડ પણ ફટકારાયો છે.

‘1504 દોષિત હોસ્પિટલોને 122 કરોડ રૂપિયાનો દંડ, 549 હોસ્પિટલો સસ્પેન્ડ’
જાધવે રાજ્યસભામાં આયુષ્માન ભારત અંગે મહત્ત્વની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના અંગે આપેલી માહિતી મુજબ, છેતરપિંડી કરનારી સંસ્થાઓ વિરુદ્ધના 643 કરોડ રૂપિયાના 3.56 લાખ ક્લેમ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 1114 હોસ્પિટલોને પેનલમાંથી હટાવી દેવામાં આવી છે.

તેમણે એક સવાલના લેખીત જવાબમાં કહ્યું કે, ‘કાર્યવાહી હેઠળ 1504 દોષિત હોસ્પિટલોને 122 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 549 હોસ્પિટલો સસ્પેન્ડ કરી દેવાઈ છે.’ ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે ત્રિ-સ્તરીય મિકેનિઝમ બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની છેતરપિંડી સમયસર રોકી શકાય.