વડોદરા-અમદાવાદમાં 26મીએ PM મોદી કરશે રોડ શો, ગજવશે સભાઓ; જાણો કાર્યક્રમ

Ahemdabad PM Modi Road Show: ‘ઓપરેશન સિંદૂર’ પછી, PM નરેન્દ્ર મોદી 26 મેના રોજ પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. મોદી સવારે 10 વાગ્યે (Ahemdabad PM Modi Road Show) વડોદરા, બપોરે 2 વાગ્યે ભુજ અને સાંજે 6.30 વાગ્યે અમદાવાદમાં રોડ શો કરશે. રોડ શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં રોડ શોના રૂટ પર ત્રિરંગો, બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલ ફાઇટર પ્લેનના ટેબ્લો પણ મૂકવામાં આવશે. અહીં રોડ શોમાં 50 હજાર લોકો ભાગ લે તેવી શક્યતા છે.

પીએમ મોદીનો રોડ શો 26 મે (સોમવાર) ના રોજ સાંજે 6:30 વાગ્યાથી એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે. રોડ શોને કારણે, ડફનાલા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. રોડ શોમાં ભાગ લેનારા અને એરપોર્ટ જતા લોકોને જ રોડ માર્ગે પ્રવેશ આપવામાં આવશે. વડોદરામાં પણ વડા પ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. જૂના એરપોર્ટથી એરફોર્સ સુધી સિંદૂર સન્માન યાત્રા યોજાશે.

25000 મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે, યાત્રાના રૂટ પર પૂરજોશથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રૂટ પર ઓપરેશન સિંદૂરની થીમ પર વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે. રૂટ પર સાંસ્કૃત્તિક ઝાંખી માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ અભિવાદન કરી શકે તે માટે બેરિકેડ લગાવી વ્યવસ્થા કરાઈ છે.

સુભાષબ્રિજથી તપોવન સર્કલ થઈને ગાંધીનગર જઈ શકાય છે
અમદાવાદથી ગાંધીનગર જતા લોકોએ સુભાષબ્રિજ થઈને તપોવન સર્કલ થઈને ગાંધીનગર જવું પડશે અથવા ડફનાળા, રામેશ્વર, મેમ્કો, નરોડા પાટિયા અને ચિલોડા સર્કલ થઈને ગાંધીનગર જઈ શકશે. ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને સરદાર નગર રોડ થઈને એરપોર્ટ જવું પડશે. રોડ શોમાં આવનારા લોકોએ સાંજે 5 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે. બપોરે 1 વાગ્યા પછી, શેરીઓ અને સર્વિસ રોડ સહિત તમામ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન રહેશે.

રોડ અને સર્વિસ રોડ સહિતના તમામ રસ્તા બપોર 1:00 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન
ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે સમગ્ર રોડ અને સર્વિસ રોડ સહિતના તમામ રસ્તા બપોર 1:00 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન રહેશે. 800 બસ આવવાની હોવાથી કોર્પોરેશન સાથે મળીને 10 પાર્કિંગ રાખવામાં આવ્યા છે.