લાઈસન્સ વગર આર્યુવેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેકટરીમાં દરોડા: લાખોની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત

Ayurvedic Products: સુરતના ઓલપાડ ખાતે વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા, જાણો કેટલા લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. કેમિકલ યુકત વસ્તુઓથી બચાવ આપણે કેટલીક વખત આર્યુવેદિક રસ્તો અપનાવીએ છે. જેનાથી આપણા સ્વાસ્થયને કોઈ નુકસાન ન થાય. જો કે શું તમે જાણો જાણો છો કે હવે આર્યુવેદિક વસ્તુઓ(Ayurvedic Products) પણ મિલાવટ આવવા લાગી છે. જેને લઇને સુરતના ઓલપાડ તાલુકામાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી લાઇસન્સ વગરના આર્યુવેદિક બનાવટોનું ઉત્પાદન કરતા કેટલાક લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સુરતના ઓલપાડ ખાતે પરવાનગી વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે લાઇસન્સ વગરની ફેક્ટરીમાંથી શંકાસ્પદ જથ્થાના આશરે ૧૫ જેટલા નમૂના લઇ બાકીનો રૂ. ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. જ્યારે આ મામલે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ફેકટરી લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરે છે. જેને લઇને અધિકારીઓ દ્વારા કરતા તાત્કાલિક ધોરણે ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવાની કાર્યવાહિ કરવામાં આવી હતી.

આ મામલે ફેકટરીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ. દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ અધિકારીએ જણાવ્યુ હતું કે ફેક્ટરી ખાતેથી આશરે રૂ. ૨ લાખની કિંમતનું રો-મટેરિયલ, રૂ. ૭૦ હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, રૂ. ૨.૯૦ લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ. ૬ લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ. ૧૧.૬૦ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આટલું જ નહિ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ ૧૫ નમૂનાઓ લઈ, રિપોર્ટ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરશે.

તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી મે. હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ સિવાય ભાવનગર ખાતે પણ ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્‍સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક પગલાં લીધા હતા.