અબુધાબી ખાતે આવેલ BAPS હિન્દુ મંદિરમાં રામનવમી અને સ્વામિનારાયણ જયંતીની કરવામાં આવી ભવ્ય ઉજવણી

BAPS Hindu Temple Abu Dhabi: અબુધાબી સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્ન સમા, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુ ધાબીમાં (BAPS Hindu Temple Abu Dhabi) ભગવાન શ્રી રામના જન્મોત્સવની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

હજારો ભક્તોએ આ અવસરે લાભ લીધો
અબુ ધાબી મંદિરના મુખ્ય કાર્યવાહક સંત એવા બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા પ્રમાણે રામનવમી નિમિત્તેસવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મંદિર દર્શન માટે ઊમટ્યા હતા. યુ.એ.ઈ. માં વસતાં હજારો ભક્તો-ભાવિકો માટે આ અણમોલ અવસર હતો,જેમાં મંદિરમાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે સવારે 9 થી 12 દરમિયાન રામ ભજનો તેમજ મધ્યાહન સમયે 12 વાગ્યે શ્રી રામ જન્મોત્સવ આરતીનોહજારો ભાવિકોએ લાભ લીધો હતો.

હિંદુ સમુદાયમાં આનંદોત્સવ
ગંગા, યમુના અને સરસ્વતીના સંગમતીર્થ પર રચવામાં આવેલા ગંગા ઘાટપર બી.એ.પી.એસ.ના કલાકાર યુવા-યુવતીઓ દ્વારા ભગવાન શ્રી રામના દિવ્ય, પ્રેરણાદાયી જીવનચરિત્રોની વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેના પગલે અબુધાબીમાં વસતા હિંદુ સમુદાયમાં આનંદોત્સવ હતો. તેઓએ કલ્પના કરી ન હતી કે અબુધાબીમાં આ રીતે ભગવાન રામનો જન્મદિવસ ઉજવી શકાશે. એક સમય હતો જ્યારે અબુધાબીમાં મંદિરની કલ્પના થઈ શકતી ન હતી. ખિસ્સામાં ભગવાનના ફોટા રાખી શકાતા ન હતા. આજે તેના બદલે ત્યાં અબુધાબીમાં હિંદુ મંદિર પણ બનેલું છે અને ભગવાન શ્રીરામના જન્મદિવસની ઉજવણી અને ભવ્ય ઉજવણીએ આખા અબુધાબીના હિંદુઓમાં આનંદની છોળો ઉડી છે.

શ્રીરામના જીવનચરિત્રને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
તેઓએ પહેલી વખત જેની કલ્પના પણ થઈ શકતી ન હતી તે હકીકત બનતા જોઈએ છે. કેટલાય શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી રામના જન્મદિનની ઉજવણીનો લહાવો લીધો હતો. અસંખ્ય લોકોએ આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.ભગવાન શ્રીરામના જીવનચરિત્રને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રોચક ઢબે રજૂ કરવામાં આવતા લોકો ખુશ થઈ ગયા હતા. લોકો તે વાતે ખુશ હતા કે આજે જાણે ભારતમાં કરે છીએ તે જ રીતે અમે અબુધાબીમાં તેમના જન્મદિનની ઉજવણી કરી હતી. તેમનો આનંદ અને ઉલ્લાસ માતો ન હતો. આ વખતે થયું તેવું દર વર્ષે થતું રહે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત અન્ય ધાર્મિક તહેવારો પણ આ જ રીતે ભવિષ્યમાં ઉજવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. રામનવમીની ભવ્ય ઉજવણીના કારણે તે સમયે સર્જાયેલી ભવ્યતાથી ફક્ત હિંદુઓ જ નહીં બીજા ધર્મના લોકો પણ ખુશ થઈ ગયા હતા. આધ્યાત્મિકતા અને ભવ્યતાનો આવો સંગમ તેમણે પહેલી વખત જોયો હતો.