હવે ટ્રાફિકમાં પણ સરળતાથી થશે પેટ્રોલિંગ: 13 પોલીસ સ્ટેશનમાં અપાઈ સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈક

Surat Self balancing E bikes: સેલ્ફ ગુનેગારો પર નજર રાખવા અને ગુનાખોરી નાથવા હવેથી શહેર પોલીસ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકનો ઉપયોગ કરશે. હજીરાની AM/NS કંપનીએ (Surat Self balancing E bikes) શહેર પોલીસ વિભાગને 25 ઇ-બાઇક આપી છે, જેનું લોકાર્પણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું હતું. ડ્રિમ સિટી ડુમસ બીચ, ઉમરા, તાપી કિનારે, ઉધના મગદલ્લા રોડ યુનિવર્સિટી, વેસુ, અલથાણ, સિટીલાઇટ ટેક્સટાઇલ માર્કેટ, રેલવે સ્ટેશન, વરાછા અને સુવાલી બીચ,રાજમાર્ગ સહિતનો કોટ વિસ્તાર સહિતના 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇ-બાઇકથી પેટ્રોલિંગ કરાશે.

ઈ-બાઈકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે
આ અવસરે ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આજના આધુનિક ટેકનોલોજી યુગમાં એ.એમ.એન.એસ. ઈન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે.

વધુમાં તેમણે કહ્યું કે, વિકટ પરિસ્થિતિમાં શોપીંગ, માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે પણ બેલેન્સિગ ઈ-બાઈકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોચી શકશે. જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઈ-બાઈકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે
આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ – કોર્પોરેટ અફેર્સના ડો.અનિલ મટુએ કહ્યું કે, એ.એમ.એન.એસ. ઈન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમ બધ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે. ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે.

મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત
આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પોલીસ અધિકારીઓ, કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.