સુરતમાં ST બસે લીધો વધુ એકનો ભોગ: બસનું માથા પરથી ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ યુવકનું મોત

Surat Accident: સુરતમાં એસટી બસ દ્વારા વધુ એક યુવકનો ભોગ લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે સ્મીમેર હોસ્પિટલના ગેટની સામે બીઆરટીએસ રૂટમાં યુવકને અડફેટે લીધો હતો. બસનું ટાયર યુવકના માથા પરથી ફરી મળતા આખું માથું છું આવી ગયું હતું જેથી તેનું ઘટના સ્થળે જ મોત(Surat Accident) નિપજ્યું હતું.

બસનું ટાયર ફરી વળતા મોત
મળતી માહિતી પ્રમાણે ઝાલોદથી સોનગઢ જતી એસટી બસ આજે સરદાર માર્કેટ થઈને સહારા દરવાજા તરફ જઈ રહી હતી. દરમિયાન હોસ્પિટલ ની સામે એસટી બસના ચાલકે બસને બીઆરટીએસ રૂટમાં ચલાવી હતી. દરમિયાન એક ચાલતા જતા યુવકને આ બસ ચાલકે અડફેટે લીધો હતો. બસની અડફેટે આવેલો યુવક નીચે ફટકાઈ જતા બસનું ટાયર તેના માથેથી ફરી વળ્યું હતું.

યુવકનું માથું છુંદાઈ ગયું હતું
બસની નીચે આવી જતા યુવકનું માથું છુંદાઈ ગયું હતું. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. એસટી બસના અકસ્માતના પગલે આસપાસ થી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસે આ મામલે યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બસચાલક બસ મૂકીને ફરાર
વરાછા ખાંડ બજાર ખાતે આવેલું ગરનાળુ રીપેરીંગ હોવાના કારણે બંધ કરવામાં આવ્યું છે. જેથી આજે તમામ વાહન વ્યવહાર બોમ્બે માર્કેટથી સહારા દરવાજા તરફ તમામ વાહનો આવી રહ્યા છે.

જેને પગલે સહારા દરવાજા તરફના ઘરનાળા પાસે ટ્રાફિક જામ સર્જાયેલો છે. દરમિયાન આ એસટી બસના ચાલકે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ તે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.