તબાહી મચાવવા આવી રહ્યું છે ‘દાના’ વાવાઝોડું; IMDએ ગુજરાત સહીત આ રાજ્યો માટે જાહેર કર્યું એલર્ટ

Cyclone Dana Updates: ભારતીય હવામાન વિભાગ (Cyclone Dana Updates) એ સોમવારે (21 ઑક્ટોબર, 2024) આગાહી કરી હતી કે બંગાળની ખાડી પરનું નીચા દબાણનું ક્ષેત્ર 23 ઑક્ટોબર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને બીજા દિવસે ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા સુધી પહોંચી શકે છે.

ચક્રવાત દાનાના આગમનને કારણે બંને રાજ્યોમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય પૂર્વમાં બંગાળની ખાડી પર સર્જાયેલ ડિપ્રેશન આવતીકાલે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે પછી તે પશ્ચિમ અને ઉત્તર દિશામાં આગળ વધીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ કેટલું જોખમી હોઈ શકે? તેનો અંદાજ તેની લેન્ડફોલ સ્પીડ પરથી જ લગાવી શકાય છે. IMD અનુસાર, લેન્ડફોલ સમયે 100-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

ગુજરાતમાં સામાન્ય રીતે નવરાત્રિ આસપાસ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. આ વર્ષે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધા બાદ પણ વરસાદી કહેર યથાવત્ છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

દિવાળીને હવે 10 દિવસ જ આડા રહ્યા છે ત્યારે અનેક જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં સિંધુભવન રોડ પર આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના સ્થળ પર પાણી ભરાયાં હતાં. પવનને કારણે મંડપ અને ડેકોરેશનને પણ નુકસાન પહોંચ્યું હતું તો ગઢડાનો રમઘાટા ડેમ આ સિઝનમાં ત્રીજીવાર ઓવરફ્લો થયો હતો.

કયા વિસ્તારોને સૌથી વધુ અસર થશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24મીની રાતથી 25મી ઓક્ટોબરની સવારની વચ્ચે આ વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે અને ઓડિશાના પુરી અને બંગાળના સાગર દ્વીપ પર ત્રાટકશે. આ સાથે 24 ઓક્ટોબરે પશ્ચિમ અને પૂર્વ મિદનાપુરની સાથે દક્ષિણ 24 પરગણામાં ભારે વરસાદની સંભાવના છે. 25 ઓક્ટોબરે, આ જિલ્લાઓની સાથે, ઝારગ્રામમાં પણ ‘અત્યંત ભારે વરસાદ’ એટલે કે 20 સેમીથી વધુ વરસાદ થવાની ધારણા છે. લેન્ડફોલ સમયે આ તમામ જિલ્લામાં 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

કેટલું નુકસાન થવાની સંભાવના છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો ચક્રવાત દાના ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તો નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ હોઈ શકે છે, તેથી હવામાન વિભાગે લોકોને ટ્રાફિક એડવાઈઝરીનું પાલન કરવાની સલાહ આપી છે. આ સાથે, ભારે વરસાદ અને ભારે પવનને કારણે, ભૂસ્ખલન અથવા માટી સ્લાઇડ પણ જોઈ શકાય છે. ચક્રવાત દાના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ ખતરાને જોતા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.