અદાણી ગ્રુપને મળી રાહત, ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે મુક્યો સ્ટે

Adani Ports: અદાણી ગ્રુપને રાહત આપતા એક સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને મુન્દ્રા પોર્ટ નજીક 2005માં કંપનીને આપવામાં આવેલી આશરે 108 હેક્ટર ગૌચર જમીન પરત લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે(Adani Ports) 5 જુલાઈના હુકમને નામદાર સુપ્રીમ કોર્ટ આજે સ્થગિત કર્યો છે.

ઉલ્લેખીય છે કે ગુજરાત હાઈકોર્ટના 5 જુલાઈના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની 108 હેક્ટર ગૌચરની જમીન ખેડૂતોને પરત કરવાના આદેશ સામે સુનાવણી કરી રહી હતી. જેમાં કંપની દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ન્યાયના હિતમાં આદેશ પર સ્ટે મૂકવો જોઈએ. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું: “નોટિસ જાહેરકરો. અસ્પષ્ટ આદેશ પર સ્ટે મૂકવામાં આવે”.

બીજી તરફ અદાણી ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે કંપનીને સુનાવણીની તક આપ્યા વિના આદેશ પસાર કર્યો હતો. 2005માં અદાણી પોર્ટસને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી સંબંધી આ બાબત હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી અને આ જમીન પર અદાણી પોર્ટ્સએ એસ.ઇ.ઝેડ.ની સ્થાપના કરી છે. અદાણી પોર્ટસએ ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ ૧૦૦ % બજાર ભાવની ગણતરી અને તેના ઉપર ૩૦% પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરી હતી.

આ કેસની શરૂઆત એક દાયકા કરતાં વધુ સમય પહેલાં થઈ હતી, જ્યારે નવીનાલ ગામના રહેવાસીઓએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ને 231 એકર ગૌચરની જમીન ફાળવવાના રાજ્યના નિર્ણય સામે PIL દાખલ કરી હતી.

મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પોર્ટસને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ 2011માં ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. આ બાબત ગુજરાત હાઇકોર્ટમાં 2011થી પેન્ડીંગ હતી. ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના 2005માં અદાણી પોર્ટસને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સથી વધૂ જમીન પાછી લેવા તા.4થી જુલાઈએ આદેશ જારી કર્યો હતો.

તા.૫મી જુલાઈએ આ બાબતની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. આથી અદાણી પોર્ટસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઇકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે.