સુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છે

સુરતમાં મોટી સંખ્યામાં લોકો જાહેર ટ્રાન્સપોર્ટેશન માટે બીઆરટીએસનો ઉપયોગ કરે છે. પરંતુ તેની સામે અનેક પડકાર પણ ઊભા થઈ રહ્યા છે. મોટાભાગના રૂટો ઉપર મોટી સંખ્યામાં લોકો સિટી બસ અને બીઆરટીએસનો ઉપયોગ કરી રહ્યા છે. સમયાંતરે ભારે ભીડમાં દરવાજે લટકતી હાલતમાં જીવના જોખમ મુસાફરી કરતા મુસાફરોના વીડિયો વાઇરલ થતા જોવા મળે છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે (Mahesh Anaghan) BRTS બસ ડેપોની મુલાકાત લીધી હતી.જ્યાં 175 BRTS બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિડીયોમાં બસનો ખડકલો  દેખાઈ રહયો છે. ત્યારે AAP કોર્પોરેટરે તંત્ર પર ગંભીર પ્રહાર કર્યા હતા.

મહેશ અણઘણે બસ ડેપોની મુલાકાત લીધી

સુરતના કોસાડ આવાસ સ્થિતિ આવેલા બસ ડેપો ખાતે 175 BRTS બંધ હાલતમાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે (Mahesh Anaghan AAP) આજે કોસાડ આવાસ ખાતે આવેલા બસડેપોની મુલાકાત લીધી હતી. જેમાં મહેશ અણઘણને માલૂમ પડ્યું કે, સુરતની જીવાદોરી સમાન 175 BRTS બસ ડેપમાં ધૂળ ખાય છે અને પાલિકાએ રઝળતી હાલતમાં છોડીને ભૂલી ગયાં હોય તેવો ઘાટ સર્જવા પામ્યો છે. એકબાજુ સુરતના હજજારો મુસાફરો આખો દિવસ ધક્કા મુક્કી અને લોકોને ખીચોખીચ ભરાઈ જવું પેડ છે, તો બીજી તરફ 175 બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે.

175 બંધ બસો ભંગાર જેવી હાલતોમાં

મહેશ અણઘણે આ બાબતે વધુમાં જણાવ્યું હતુ કે, પાલિકા ના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે 40 બસ બંધ હાલતમાં છે,જયારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે. શું આ 175 બંધ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે? તેવો વેધક પ્રશ્ન મહેશ અણઘણે કર્યો હતો. જો પાલિકા ના રેકોર્ડમાં આ બંધ બસો હયાત બતાવતા હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. મહેશભાઈ અણઘણે પાલિકા કમિશ્નરને આ બાબતમાં રસ લઇ તાત્કાલિક આનો યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

તંત્રની બેદરકારી

સુરતમાં એક સ્થળેથી બીજા સ્થળે ધંધા-રોજગાર માટે હજારો લોકો રોજ સિટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરે છે, પરંતુ વધુ પડતા મુસાફરોના ધસારાને કારણે બસ હાઉસફૂલ થઈ જાય છે. આવી સ્થિતિમાં મુસાફરો પોતાના ધંધા-રોજગારના સ્થળે પહોંચવા જીવનું જોખમ ખેડે છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે,તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી આવી જ રીતે બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બનતી રહેશે.