દેશભક્તિના રંગમાં રંગાયું સુરત: ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા એક લાખ સુરતીઓ

Surat Tiranga Yatra: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને સુરતમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં હજારો સુરતવાસીઓની ઉપસ્થિતીથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું. જેમાં સુરતમાં(Surat Tiranga Yatra) વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

સુરતમાં ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ:
આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપ, શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી. આમ ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપ અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આકાશમાં છવાયો તિરંગો:
રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ‘તિરંગા પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.

યાત્રાનું ભવ્ય સ્વાગત:
વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતવાસીઓ સહભાગી થયા હતા. સાથોસાથ મંત્રી અને મહાનુભાવો પણ તિરંગો લહેરાવી યાત્રામાં જોડાયા હતા. મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

11 લાખ તિરંગાનું વિતરણ
અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને 9 લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં દેશ દાઝ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે.