અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહની 1000 કિલો માટી 3 લાખ પરિવારોમાં કરવામાં આવશે નિઃશુલ્ક વિતરણ

Ayodhya RamMandir News: અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહની 1000 કિલો માટી 3 લાખ પરિવારોમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. છેલ્લાં 2016થી અમદાવાદ અને સુરત ખાતે કાર્યરત સંવેદના સંસ્થા દ્વારા 6 મહિનાથી આ આયોજન કરવામાં (Ayodhya RamMandir News) આવ્યું હતું. જેના માટે સંસ્થાના બે હોદ્દેદારો દ્વારા અયોધ્યા જઈને ત્યાંના ટ્રસ્ટીઓની સાથે મુલાકાત કરીને માટીને અમદાવાદ ખાતે પહોંચાડી છે.

3 લાખ પરિવારોને મળશે અયોધ્યાની માટી
મંદિર તરફથી વીઆઈપીઓને અપાતી રજકણ હવે અહીંના 3 લાખથી વધુ પરિવારોને ભેટ આપવામાં આવશે. અયોધ્યાના રામમંદિરની આટલી મોટી માત્રામાં રજકણ મેળવનાર પહેલી સંસ્થા પણ બની છે. આ અંગે સંદિપ જોધાણીએ જણાવ્યું કે, છેલ્લાં 6 મહિનાથી અયોધ્યાના ગર્ભગૃહની રજકણને લોકોના ઘરો સુધી પહોંચાડવાનો પ્લાનિંગ કર્યું હતું.

નવરાત્રિની શરૃઆતમાં અયોધ્યા પહોંચીને ત્યાંના વહીવટી તંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને ગર્ભગૃહની રજકણ માટે વાતચીત કરતાં ત્યાંથી એક હજાર કિલો માટીની પરવાનગી મળતા કુરિયર મારફતે અમદાવાદ લાવવામાં આવી છે.

રજકણને લેમિનેશન કરીને આપવામાં આવશે
જેમ જેમ રજકણ સાફ થઈને આવતી જશે તેમ તેમ તેનું વિતરણ શરૂ કરાશે. શહેરના રામમંદિરથી આ રજકણ ભેટમાં આપવાનુ શરૃ કરાશે જો રજકણ ઓછી પડશે તો વધુ માત્રામાં લાવવાની પણ તૈયારી છે. જે લોકો અયોધ્યા દર્શન માટે ન પહોંચી શકતા હોય તેવા લોકોને ધ્યાનમાં રાખીને પણ આ વિચાર આવ્યો હતો. રજકણને લેમિનેશન કરીને આપવામાં આવશે જેથી તેનો ઉપયોગ પૂજામાં પણ લોકો કરી શકે.

નિઃશુલ્ક કુરિયર મારફતે ઘરે પણ પહોંચાડવાની તૈયારીઓ કરાઈ
દરેક પરિવારને 3 ગ્રામ રજકણનું પેકિંગ કરીને અપાશે. લોકોની સાથે વિવિધ હોદ્દેદારોને પણ રજકણ ભેટમાં અપાશે. જો કોઈ રાજ્યમાંથી ઓનલાઈન પણ મંગાવવા માટે ફોર્મ ભરશે તો તેને નિઃશુલ્ક કુરિયર મારફતે ઘરે પણ પહોંચાડવાની તૈયારીઓ કરાઈ છે.