આ રીતે ડંકી રૂટથી અમેરિકા પહોંચ્યો હતો યુવક; ભારત પરત ફરતા જ જણાવી રૂંવાડા ઉભા કરી દે તેવી આપવીતી

Indians Deported From US: અમેરિકાની સરકારે ગેરકાયદે પ્રવાસીઓ પર તવાઈ બોલાવતા સૌપ્રથમ ભારતીય પ્રવાસીઓને પરત તેમના દેશ મોકલી દીધા છે. પાંચ ફેબ્રુઆરીના રોજ અમેરિકન (Indians Deported From US) સેનાનું વિમાન સી 17 અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. વિમાનમાં 104 ભારતીય લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 33, હરિયાણાના 33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના 3-3 અને ચંદીગઢના બે લોકો સામેલ છે. ત્યારે પંજાબના એક શખ્સે પાછા ફરતાં પોતાની કહાણી જણાવી હતી તે કેવી રીતે તે 6 મહિને તે ડંકી માર્ગે અમેરિકા પહોંચ્યો અને પોતાની જીવનભરની કમાણી એકઝાટકે ગુમાવી દીધી…

જીવનભર ભેગી કરેલી મુડી દાવ પર લગાવી દીધી
પંજાબના ફતેહગઢ ચુડિયાના રહેવાસી જસપાલ સિંહ તેમનું ઘર છોડીને જિંદગીની નવી શરૂઆત કરવા માટે અમેરિકા જવા માંગતા હતા. આ માટે તેમણે પોતાની જીવનભર ભેગી કરેલી મુડી દાવ પર લગાવી દીધી. પરંતુ ના તેઓ અમેરિકા રહી શક્યા અને ન તેમનું સપનું પુરું થયું અને આખરે તેમને લાખો રુપિયા ગુમાાવીને પરત ફરવું પડ્યું. તેમણે પીટીઆઈ સાથેની વાતચીતમાં પોતાની વિતક કથા વર્ણવી હતી.

30 લાખ રુપિયામાં અમેરિકા પહોંચવાની ડીલ થઈ
જસપાલ સિંહે કહ્યું કે મેં એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. મને તો એવું કહેવામાં આવ્યું હતું કે કાયદેસર રીતે મને વિઝા સાથે અમેરિકા મોકલવામાં આવશે. આ માટે 30 લાખ રુપિયામાં ડીલ નક્કી થઈ હતી. પહેલા મને પંજાબથી યુરોપ લઈ જવામાં આવ્યો. ત્યાંથી બ્રાઝિલ મોકલવામાં આવ્યો. મને તો ખબર જ ન હતી કે હું ગેરકાયદે જઈ રહ્યો છું. બ્રાઝિલથી મારે ડંકી માર્ગ લેવો પડ્યો, જેમાં છ મહિના લાગી ગયા.

અમને તો ખબર જ ન હતી કે પરત મોકલાઈ રહ્યા છે….
હજી અમેરિકા પહોંચ્યાને મારે 11 દિવસ જ થયા હતા અને જાન્યુઆરી 2025 માં સીમા પાર કરવા પર મને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જ્યારે અમને પાછા મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે મને તો ખબર પણ ન હતી કે મને પરત મોકલવામાં આવી રહ્યો છે. જ્યારે મને વિમાનમાં બેસાડ્યો ત્યારે મને લાગ્યું કે મને ક્યાંક બીજે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. પછી એક અધિકારીએ કહ્યું તે અમને ભારત મોકલવામાં આવી રહ્યા છે.

કેદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું…
જસપાલના કહેવા મુજબ ભારત પરત આવી રહેલા પ્રવાસીઓ સાથે કેદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું હતું. તેને ખુબ જ કસીને બાંધવામાં આવ્યો હતો. હાથકડી અને બેડીઓ પણ પહેરાવવામાં આવી હતી. વિમાન અમૃતસરમાં લેન્ડ થયા બાદ જ મુક્ત કરાયા. જ્યારે વિમાન ઉતર્યું ત્યારે અમને ખબર પડી કે અમને ક્યાં લાવવામાં આવ્યા છે. જસપાલે કહ્યું કે શબ્દોમાં વ્યક્ત મુશ્કેલ છે કે આટલું બધું સહન કર્યા પછી હવે મારા ઉપર શું વીતે છે. હવે કંઈ જ બચ્યું નથી.