લગ્નપ્રસંગ બન્યો શોકમય: મિત્રો સાથે નાસ્તો કરવા નીકળેલા વરરાજાનું અકસ્માતમાં મોત, નવવધૂના અરમાનો ચકનાચૂર

Rajkot Accident: ખુશીના પ્રસંગે ઘણીવાર એવા પ્રસંગો બની જતા હોય, જેની લોકોએ ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. આવો જ એક કિસ્સો રાજકોટમાં(Rajkot Accident) બન્યો છે. આખો પરિવાર લગ્નની ખુશી મનાવી રહ્યો હતો, ઘરે આવેલી નવપરણીતાને આવકારવામાં પરિવારજનો મશગૂલ હતા. લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા, ઘરમાં સગા સંબંધીઓ બેઠા હતા. સૌના મનમાં ખુશીઓ હતી. આ દરમિયાન વરરાજાનું અકસ્માતમાં અવસાન થતાં પરિવારની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ. જે ઘરમાં શરણાઈ વાગી રહી હતી, તે જ ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

27મી ફેબ્રુઆરીએ હતા લગ્ન
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના એસઆરપી કેમ્પ પાસે આવેલી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને SRP ગ્રુપ-13માં PSI તરીકે ફરજ બજાવીને નિવૃત થયેલા હરદેવસિંહ વાળાના દીકરા રવિરાજસિંહના લગ્ન તેમના વતન વાલાસણ ગામ ખાતે રાખવામાં આવ્યા હતા. ગત 27મી ફેબ્રુઆરીએ વરરાજા રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું હતું. જે બાદ તેઓ ફેરા ફરવા ચોરીમાં પહોંચ્યા હતા અને લગ્નના તાતણે બંધાયા હતા. આ પછી રાત્રે ફેરા પત્યા બાદ રવિરાજસિંહના માતાએ નવદંપતિનું સામૈયું કર્યું હતું અને દુલ્હન બનીને આવેલી દીકરીના ઘરમાં કંકુ પગલાં પાડ્યા હતાં. આ પછી વરરાજા દુલ્હન પાસે જાય તે પહેલા જ મિત્રો અને સગા સંબંધીઓ તેને હેરાન કરવા બળજબરીથી નાસ્તો કરવાના બહાને ઘરેથી લઈ ગયા હતાં. આ દરમિયાન રવિરાજસિંહના મિત્રો અને સગા સંબંધી સહિત 5 વ્યક્તિ સ્કોર્પિયો કારમાં વાલાસણથી પાનેલી ગામે નાસ્તો કરવા જતા હતા ત્યારે રેલવે ફાટક પાસે જ કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મિંઢોળબંધ વરરાજા રવિવારજસિંહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

સ્કોર્પિયો કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી
આ બનાવની ભાયાવદર પોલીસને વહેલી સવારે જાણ કરવામાં આવતાં પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મરાજસિંહ જાડેજા સ્કોર્પિયો કાર ચલાવી રહ્યાં હતાં અને વાલાસણ-પાનેલી વચ્ચે ફાટક પાસે ગોલાઈ પર સ્કોર્પિયો પહોંચી ત્યારે ઓચિંતા જ ભુંડ આડુ ઉતરતા તેને બચાવવા જતાં સ્કોર્પિયો કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

પરિવારમાં માતમ છવાયો
આ ગોજારા અકસ્માતમાં એક માત્ર મિંઢાળબંધ વરરાજા રવિરાજસિંહને જ ઈજા પહોંચી હતી. જ્યારે સ્કોર્પિયોમાં બેઠેલા અન્ય ચાર વ્યક્તિઓને કંઈ થયું નહોતું. આ બનાવની પરિવારજનોને જાણ કરતાં જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગી રહી હતી તે ઘરે પલવારમાં જ માતમ છવાઈ ગયો હતો.